એસ.પી. સ્વામી અને ઘનશ્યામ સ્વામીને બે વર્ષ માટે ૬ જિલ્લામાંથી તડીપાર કરાયા

Wednesday 09th June 2021 07:07 EDT
 

ગઢડા: ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામીને બે વર્ષ માટે છ જિલ્લામાંથી તડીપાર કરાતા વિવાદ વધુ ગરમાયો છે.
ગઢડા(સ્વામિના) મુકામે સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્થાપેલી વડતાલ ગાદી નીચે આવતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષનો વિવાદ ચરમસીમાએ પહોંચતા પ્રતિદિન નવા વિવાદ આકાર લઇ રહ્યા છે. સમગ્ર વિવાદ જોઈએ તો આ સંપ્રદાયમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષના વિભાજન પછી સતત વિવાદો શરૂ રહ્યા છે. આ વિભાજનનું કારણ સંપ્રદાયમાં જે તે સમયે આચાર્ય તરીકે અજેન્દ્રપ્રસાદજી દ્વારા સંપ્રદાયના અને તેમના દ્વારા દિક્ષિત જે તે સાધુઓની નીતિ રીતિઓ, પ્રાઈવેટ ગુરૂકુળો ,સંપત્તિ તરફની દોટ ઉપર કસેલો સિકંજો કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સંપ્રદાયમાં ચાલી રહેલી લડાઈનાં મુખ્ય સૂત્રધારોમાં ગઢડા મંદિરનાં પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામવલ્લભદાસજી અને એસ.પી. સ્વામી જેવા ગણ્યા ગાંઠયા સાધુઓનો સમાવેશ થાય છે.
બંને સાધુઓને ૬ જિલ્લા અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર તથા રાજકોટ માટે બે વર્ષ સુધી તડીપાર કરવાનો હુકમ બજાવી તંત્રએ મોટો ખેલ પાડી દેતા ભારે ખળભળાટ મચી જવાં પામેલ છે. આ બાબતે એસ.પી. સ્વામીએ એક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમારા ઉપર કોઈ એવા કેસો નહી હોવાનું, પોલીસ વિરુદ્ધ કાર્યવાહી માટે હાઈકોર્ટમાં કરેલી ફરિયાદથી અકળાયેલા અફસરો દ્વારા ફરિયાદો પાછી ખેંચવા દબાણ લાવવા બીજી તદ્દન ખોટી ફરિયાદ દાખલ કરી હતી.
એસ.પી. સ્વામી અને ઘનશ્યામસ્વામી વિરુદ્ધ ૩૦૭, મારામારી સહિત ૬ જેટલા નોંધાયેલા ગુન્હાના આધારે પોલીસની દરખાસ્ત મુજબ કામ કર્યાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.


comments powered by Disqus