અમદાવાદઃ રાજ્યના કુલ ૮૨ તાલુકામાં ૧ મીમીથી લઈને પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડા તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ સિવાય નર્મદા જિલ્લાના દેડિયાપાડા, આણંદ અને ખેડાના માતર તાલુકામાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા અને માગરોળ તાલુકામાં તથા નવસારી અને અમદાવાદના સાણંદ તાલુકામાં પણ સવા બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
પ જૂને દિવસ દરમિયાન કુલ ૯ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરતમાં મહુવા, નડિયાદ અને વાસોમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
સવા ઇંચ વરસાદથી સોનગઢમાં પાણી
સોનગઢ પંથકમાં સાંજના સમય અચાનક સમી સાજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં કાળા ડિબાંગ વાદળો સાથે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો અને અચાનક કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. સાંજે ૬.૩૦ કલાકે શરૂ થયેલો વરસાદ અંદાજિત પોણો કલાક સુધી પડ્યો હતો. મુખ્ય બજાર પર આવેલ પુલ પર વરસાદી પાણી ભરાઇ જતા વાહનો અગવડ પડી હતી.
કડીમાં અઢી. સરસ્વતી પંથકમાં દોઢ ઇંચ વરસાદઃ બાજરીના પાકને વ્યાપક નુકસાન
ઉત્તર ગુજરાતમાં ૬ જૂનની સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ મર્જાયો હતો. જેમાં કડી તાલુકામાં ૨ કલાકમાં ૬૩ મીમી, વિજાપુરમાં ૨૧ મીમી, સરસ્વતી પંથકમાં ૧૩મી વરસાદ વડ્યો હતો. બાજરીનો પાક તૈયાર થતા ખેડુતો બાજરીની કાપણી અને લણણી કરી રહ્યા હતા. ત્યારે અચાનક વરસાદ થતાં બાજરીના પાકને નુકસાન થયું હતું.
બનાસકાંઠામાં વાવાઝોડાથી ૪૦૦ વૃક્ષો ધરાશાયી
રાજસ્થાનના રણ વિસ્તારમાં અચાનક લો પ્રેશર ક્રિએટ થતા બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોત જોતામાં વાવાઝોડા સાતે વરસાદ પડતા વીજપૂરવઠો પણ ખોરવાઇ ગયો હતો. ૭૦થી ૮૦ કિમીની ઝડપે આવેલા વાવાઝોડાએ ૧૬૦થી વધુ થાંભલા ક્ષતિગ્રસ્ત કરી દીધા હતા, ડીસા, ઝેરડા, લાખણી, દિયોદર ભાભર, પાંથાવાડા, ઇકબાલગઢના ગામોમાં પતરા ઉડ્યા હતા. ઉપરાંત ૪૦૦થી વધુ વૃક્ષો પડ્યા હતા.