ટ્વિટર નવા IT નિયમોનું પાલન કરે, નહીં તો પરિણામ ભોગવે

Wednesday 09th June 2021 08:04 EDT
 
 

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા દિગ્ગજ ટ્વીટર વચ્ચેનો વિવાદ વકરી રહ્યો છે. ભારત સરકારે નવા આઈટી નિયમોના પાલન માટે ટ્વીટરને અંતિમ નોટિસ આપતાં ચેતવણી આપી છે કે ટ્વીટર નવા આઈટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેણે પરિણામ ભોગવવા પડશે.
આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ટ્વીટરને અંતિમ નોટિસ આપી દેવાઈ છે. નવા આઈટી કાયદાઓનું પાલન નહીં થાય તો ટ્વીટરને આઈટી કાયદા ૨૦૦૦ની કલમ ૭૯ હેઠળ અપાયેલી છૂટ પરત ખેંચી લેવાશે અને ટ્વીટરે આઈટી એક્ટ તથા અન્ય દંડાત્મક જોગવાઈઓ હેટળ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

સોશિયલ મીડિયા માટેના નવા આઈટી નિયમો

કેન્દ્રના નવા આઈટી નિયમો ૫૦ લાખથી વધુ યુઝર્સ હોય તેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગુ પડે છે.
• સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નોડલ ઓફિસરની નિમણૂક ફરજિયાત છે.
• ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી ફરજિયાત છે.
• મુખ્ય ફરિયાદ અધિકારીની ફરજિયાત નિમણૂક, જે દર મહિને સરકારને કેટલા યુઝર્સે ફરિયાદ કરી અને કેટલી ફરિયાદોનો ઉકેલ લવાયો તે જણાવશે.
• ભારત સરકાર, રાજ્ય અથવા લોકો સામે જોખમી હોય તેવા મેસેજના સંદર્ભમાં સૌથી પહેલો મેસેજ કરનાર વ્યક્તિનું નામ સરકારને આપવું પડશે.
• કોઈ યુઝરની ફરિયાદ પર ૨૪ કલાકમાં એનક્લોઝ કરી ટ્રેકિંગ નંબર જનરેટ કરી ૧૫ દિવસમાં ફરિયાદનો ઉકેલ લાવવાનો રહેશે.
• ન્યુડીટી, પોર્નોગ્રાફી જેવા ફ્લેગ કરાયેલ કન્ટેન્ટને ૨૪ કલાકમાં પ્લેટફોર્મ પરથી દૂર કરવાના રહેશે.


comments powered by Disqus