અમદાવાદ: કોરોનાને પગલે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અવરજવર કરનારા મુસાફરોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક મહિના દરમિયાન કુલ ૩.૧૬ લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ. છેલ્લા ૬ મહિનામાં અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોની આ સૌથી ઓછી અવરજવર છે.
અમદાવાદ એરપોર્ટમાં એપ્રિલ મહિના દરમિયાન ૩,૧૬,૩૫૯ ડોમેસ્ટિક મુસાફરો અને ૩૭૮૬ ફ્લાઈટની અવર-જવર નોંધાઈ હતી. આમ, એપ્રિલમાં દરરોજ સરેરાશ ૧૦,૫૪૫ મુસાફરો અને ૧૨૬ ફ્લાઈટની અવરજવર નોંધાઈ છે. આ સ્થિતિએ કહી શકાય કે હાલ પ્રત્યેક ફ્લાઈટમાં સરેરાશ માત્ર ૮૪ જ મુસાફરો હોય છે. બીજી તરફ એપ્રિલ મહિનામાં વિદેશ માટે ૩૪,૦૩૭ મુસાફરો અને ૩૬૬ ફ્લાઈટની અવરજવર હતી. આમ, પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં સરેરાશ ૯૩ મુસાફરો હોય છે. અમદાવાદની ડોમેસ્ટિક કરતાં ઈન્ટરનેશનલમાં વધુ મુસાફરો હોય તેવું સંભવતઃ પ્રથમવાર બન્યું હશે.