અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં રાજ્ય રક્ષિત પાંચ સ્મારકોના સંરક્ષણ તેમજ પુનઃ સ્થાપન માટે કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે જેમાં સૌરાષ્ટ્રમાં લોકભાતીગળ મેળા માટે જાણીતું અને આશરે ૨૦૦ વર્ષ જૂનું તરણેતર મંદિર, પ્રભાસ પાટણમાં આવેલું જૈન મંદિર તેમજ ગોંડલ તાલુકામાં આવેલી ખંભાલિડાની પ્રાચિન બૌદ્ધ ગુફાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ રાજ્ય રક્ષિત સ્મારકોના જિણોદ્ધાર તેમજ અન્ય માળખાકીય સવલતોના કામો આ રકમમાંથી હાથ ધરાશે.
મુખ્યપ્રધાને રાજ્યના ઐતિહાસિક, પુરાતત્ત્વીય અને ધાર્મિક-સાંસ્કૃતિક મહત્તવ ધરાવતા જે પાંચ રાજ્ય રક્ષિત સ્મારકોમાં કોન્ઝર્વેશન-રિશ્ટોરરેશનના કામોની મંજૂરી આપી છે તેમાં મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લવાણા ગામના કલેશ્વરી સ્મારક સમૂહ તેમજ નખત્રાણા તાલુકાના મંજલ ગામે આવેલા પુઅરેશ્વર મંદિરનો પણ સમાવેશ થાય છે. પ્રત્યેક સ્મારક દીઠ રૂ. ૧-૧- કરોડનો ખર્ચ કરીને સ્મારકોનું સંરક્ષણ, જિર્ણોદ્વાર, પરિસર વિકાસ તેમજ વૃક્ષારોપણ, બ્યૂટીફિક્શનના કામો અને પર્યટક સુવિધા વૃદ્ધિની કામગીરીને આવરી લેવામાં આવશે. રાજ્ય સરકારે ૨૦૨૧-૨૨ના બજેટમાં આ હેતુસર પાંચ કરોડ રૂપિયા ફાળવ્યાં છે.