તાલાલા: તાલાલાની સુગંધીદાર મધમીઠી કેસર કેરી પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઇટાલી દેશમાં પહોંચનાર છે. મુંદ્રા બંદરેથી ૧૪ ટન અર્થાત ૧૫ હજાર બોક્સ ભરેલું જહાજ રવાના થયું છે અને લગભગ ૨૫ દિવસે ઇટાલી પહોંચનાર છે. ૨૦૧૦માં શરૂ થયેલા પેક હાઉસમાં પ્રોસેસ થયેલી કેરી એપેડા સંસ્થા દ્વારા માન્ય થાય એ પછી નિકાસમાં મોકલવામાં આવે છે. પેકહાઉસમાં પ્રિકુલીંગ, વોશીંગ, ક્લીનીંગ ઉપરાંત કેમિકલ પ્રોસેસીંગ કરવામાં આવી રહ્યું છે. એ પછી વિદેશમાં પહોંચે છે. યુ.કે. અને આરબ દેશોમાં તો આ કેરી પહોંચી જ રહી હતી પણ આ વખતે ઇટાલી પણ મોકલવામાં આવી છે. મુંદ્રા બંદરે ૧૪ ટન કેરી લોડ કરી દેવામાં આવી છે. ઇટાલીમાં અદ્યતન રાયપનીંગ પ્લાન્ટમાં કેરી પકવીને ઇટાલીની બજારમાં નંગના ભાવે વેંચવામાં આવશે.