સુરત: પ્રાચિન ધરોહર અને ધર્મની ધજા જ્યાં અખંડ ફરકે છે એવા જૈનોના જિનાલયોને શુદ્ધ કરવા અને તેમને સુરક્ષિત કરવાનું બીડુ અધ્યાત્મ પરિવારે ઝડપ્યું છે. જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીના માર્ગદર્શન હેઠળ આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશના તમામ જિર્ણ થયેલા જિનાલયોને શુદ્ધ કરાશે. જેની શરૂઆત સુરતથી થઇ ગઇ છે.
આ અંગે અધ્યાત્મ પરિવારનાં વિદ્યુત શાહ અને હર્ષદ કોઠારીએ જણાવ્યું હતું કે, સુરતમાં અંદાજિત ૨૫૦ જેટલા જિનાલયો છે, જેમની મંજુરી મળશે એ તમામ જિનાલયનું શુદ્ધિકરણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં શહેરમાં ૪૦ જેટલા જિનાલયોમાં આ કામ નિર્વિઘ્ને સંપન્ન થયું છે. સુરતમાં અનેક પ્રાચિન જિનાલયો બન્યા પછી ક્યારેય સંપુર્ણ શુદ્ધિકરણ નથી થયું.
શુદ્ધિ સુરક્ષા અંતર્ગત શિખરથી લઇને છેક નીચે રંગમંડપ સુધી તેની સફાઇ થાય છે. જે જગ્યાએ પાણીનો વપરાશ ન થઇ શકે ત્યા હાથથી જ સફાઇ કરવામાં આવે છે. ફ્લોરિંગ, દિવાલ, સ્તંભ, ખૂણાઓ અને બારિક કોતરણી સહિત તમામ જગ્યાએ શુદ્ધિકરણ સાથે જરૂર પડે ત્યાં તીરાડોમાં પુરાણ પણ કરવામાં આવે છે.
આ શુદ્ધિકરણના કારણે જિનાલયની આયુમાં ૧૦-૧૨ વર્ષનો વધારો થાય છે. શુદ્ધિકરણ બાદ કલરકામનો પણ પ્રકલ્પ હાથ ધરાશે.
અધ્યાત્મ પરિવારનાં મુંબઇના કાર્યકર્તા ઋષભ શાહે કહ્યું હતું કે ગુજરાત મહારાષ્ટ્રથી જિનાલય શુદ્ધિ સુરક્ષાની શરૂઆત કરાઇ છે.
મુંબઇમાં પણ કામ ચાલુ હતુ. અત્યાર સુધીમાં મુંબઇમાં ૨૫ જેટલા જિનાલયોનું શુદ્ધિકરણ કરીને તેમને સુરક્ષા અપાઇ છે. ખંભાતમાં કાર્ય ચાલુ થઇ ગયું છે, જ્યારે અમદાવાદ, ભાવનગરમાં પણ આરંભ થવાની તૈયારી છે.
પરમાત્મા દરેકને સારા બનવાનો સંદેશ આપે છે : યોગતિલકસૂરીશ્વરજી
'જૈન શાસન દરેક વ્યક્તિને સારા બનાવવા જોઇએ એવું માને છે એને જ ધર્મ કહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ ભારત દેશની પ્રજાને યુનિટીનો સંદેશ આપે છે તેમ જિનાલયમાં બિરાજમાન વીતરાગ પરમાત્મા દરેક વ્યક્તિને સારા બનવાનો સંદેશ આપે છે, એમ યોગતિલક સૂરીશ્વરજીએ કહ્યું હતું.