નર્મદાના વિદ્યુત મથકમાં દૈનિક ૧.૪૦ કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન

Wednesday 09th June 2021 07:44 EDT
 

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૩.૦૧મીટર નોંધાઈ હતી. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૫૪૬૩ મીલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે ૨૦થી ૨૫ સે.મી.નો ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું સરદાર સરોવર ડેમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા પખવાડીયાથી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૨૫ મીટરે હતી. હાલમાં છેલ્લા પખવાડીયાથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દૈનિક સરેરાશ ૭૮ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂ.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૨ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ ૩ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દૈનિક સરેરાશ રૂ.૫૦ લાખની કિંમતનું ૨૫ લાખ યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૧૫,૫૦૦ ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઈ અને પીવાના માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.


comments powered by Disqus