ભુજ: કેન્દ્ર સરકાર દ્વારા સીએએ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, જૈન, શીખ, પારસી, ઈસાઈ સહિતના અલ્પ સંખ્યકોને નાગરિકતા આપવા માટે એક સેન્ટર ઉભું કરવામાં આવશે. જે અંતર્ગત કચ્છમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને પણ અહીંની નાગરિકતા મળશે.
વર્ષ ૨૦૦૯માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા. હાલમાં તેઓ ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં રહે છે. પરંતુ તેમને કોઈ જાતની સવલત મળતી નથી કારણ કે, એમના પાસે ભારતનું નાગરિકત્વ નથી. ૨૦૧૮માં તેઓએ કલેક્ટરને અરજી કરી હતી પરંતુ અત્યાર સુધી તેઓને નાગરીકત્વ મળ્યું નથી. સુરાજી સોઢા નામના શરણાર્થીએ જણાવ્યું હતું કે, ઝુરા કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના અન્ય પરિવાર પણ રહે છે. ૧૯૭૧માં પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓના ઘણા પરિવારો અહીં આવ્યા અને એમને અહીંનું નાગરિકત્વ મળ્યું છે. પરંતુ પાછળથી અમારા જેવા લોકો આવેલા છે એમને હજુ સુધી નાગરિકત્વ મળ્યું નથી.
પાકિસ્તાનથી આવેલા આ યશરણાર્થીઓ પાસે ઓળખપત્ર કે બર્થ સર્ટી. જેવા કોઈપણ આધાર નથી. જેથી તેમના પરીવારજનોને કોઈ નોકરી કે કંપનીઓમાં કામ મળતું નથી. પરિણામે તેઓ છૂટક મજૂરી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સીએએ હેઠળ તેમને ભારતની નાગરિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેમને તમામ સુવિધાઓ તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ મળશે અને તેમની ઓળખ પણ થશે. પરિણામે આ શરણાર્થીઓને રાહત મળી છે.