પૂણેની ફેક્ટરીમાં આગથી ૧૮ ભૂંજાયા, બંગાળમાં વીજળી ત્રાટકતાં ૨૦નાં મૃત્યુ

Wednesday 09th June 2021 08:08 EDT
 
 

પૂણે, કોલકાતા: પૂણેથી ૧૬ કિમી દૂર પિરાણઘાટ પર આવેલા ઉરાવડે ગામમાં સેનિટાઇઝર બનાવતી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ૧૫ મહિલાઓ સહિત ૧૮ લોકો જીવતા ભુંજાઇ ગયા હતાં.
પ્લાન્ટમાં કુલ ૩૭ કામદારો કામ કરતાં હતાં તેમાંથી હજું પણ ડઝન જેટલા કામદારો લાપતા છે. બીજી બાજુ પ. બંગાળમાં ભારે વરસાદ સાથે વીજળી ત્રાટકતાં ર્મુશિદાબાદ જિલ્લામાંમાં નવ, હુગલી જિલ્લામાં નવ અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં બે વ્યક્તિના મૃત્યુ નોંધાયા હતા. પ.બંગાળ અને મહારાષ્ટ્રની ઘટનાઓમાં મૃતકોના પરિવારો પ્રતિ વડા પ્રધાન મોદીએ સંવેદના જાહેર કરી હતી. પૂણેની ફેક્ટરીમાં મોટાપાયે સેનેટાઇઝર બનાવવામાં આવતું હતું ત્યારે જ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડયા હતાં અને આસપાસના વિસ્તારો પર ધુમાડાના વાદળો છવાઇ ગયા હતાં.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યુ હતું કે સેનેટાઇઝરમાં આલ્કોહોલની ભારે માત્રા હોય છે તેને કારણે જ આગ અત્યંત તીવ્ર ગતિએ પ્રસરી ગઈ હતી અને ફેક્ટરીમાં કામ કરતાં કામદારોને બચીને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.


comments powered by Disqus