રાજકોટઃ મોરબી, જામનગર અને દ્વારકા, રાજકોટ એમ ચાર જિલ્લાનાં ગામડાંમાં કરેલા સરવે દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ગામડાંમાં રહેતા મુસ્લિમ, માલધારી અને કોળી સમાજના લોકોમાંથી ૫૦ ટકાથી વધુ લોકો રસી મુકાવવા જતાં જ નથી અને કહે છે કે, જો વેક્સિન લઇશું તો ૧૦ મહિનામાં મરી જઈશું. અમુક પરિવારો સમાજના ભૂવા રસી લેવાની ના પાડતાં હોવાનું છડેચોક કહે છે. ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં તો લઘુમતી સમાજના લોકો એવું કહે છે કે, હિન્દુ અને મુસ્લિમ સમાજની અલગ-અલગ રસી હોય છે માટે અમે આ રસી લેતા નથી. સોયલ ગામના સરપંચના પતિ અલી અબ્દુલભાઈ ચાવડાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેઓ કહે છે કે, લોકોને સમજાવીએ છીએ પરંતુ કોઈ રસી લેવા કે ટેસ્ટિંગ કરાવવા આવતું જ નથી. ઉપસરપંચ રાજુ દલસાણિયા કહે છે કે, લોકોને સમજાવ્યા પણ બેથી ત્રણ લોકોએ જ રસી લીધી છે. ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં ૬ હજારથી વધુની મુસ્લિમ વસ્તીમાંથી ભણેલા-ગણેલા લોકો રસી લેવા આવે છે જે માત્ર ૮-૧૯ ટકા છે.