મોઢેરાનું સૂર્યમંદિર ટૂંક સમયમાં દિવસરાત સૂર્યઊર્જાથી ઝગમગશે

Wednesday 09th June 2021 07:18 EDT
 
 

ગાંધીનગર: સૂર્ય ‘દેવ’ની આરાધના માટે ચૌલુક્ય વંશના રાજા ભીમ પહેલા દ્વારા ૧૧મી સદીમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે બંધાયેલા ઐતિહાસિક સૂર્યમંદિરને સૂર્યઊર્જાથી જ પ્રજ્વલ્લિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર કેન્દ્રના સહયોગથી હાથ ધરી રહી છે, જે જૂન મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે, બાદમાં વડા પ્રધાન મોદીના હસ્તે જ આ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે. વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ-બીઇએસએસ ધરાવતા આ પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
રૂ. ૬૯ કરોડનો કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ, મહિન્દ્રા જૂથની કંપની મેસર્સ મહિન્દ્રા સસ્ટેન પ્રાઇવેટ લિમિટેડને સોંપાયો છે, જેણે દક્ષિણ કોરિયાથી ટેક્નોલોજી આયાત કરી છે. સૂર્યમંદિરથી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે રાજ્ય સરકારે ૧૨ હેક્ટર જમીન ફાળવી છે, જ્યાં જમીનમાં પિલર ઉપર સોલર ફોટોવોલ્ટેઇક પેનલો લગાવી ત્રણ મેગાવોટના એક એવા બે યુનિટ કુલ ૬ મેગાવોટ ક્ષમતાવાળા ઊભા થશે, સાથોસાથ લિથિયમ બેટરીવાળી બીઇએસએસ ટેક્નોલોજી સર્જાશે. અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામના કુલ ૧,૬૧૦ ઘરોને તથા સૂર્યમંદિરને દિવસરાત પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના ૨૭૧ ઘરો ઉપર એક-એક કિલોવોટની રૂફટો ૫ સિસ્ટમ પણ લાગી રહી છે, જે વીજળી ઘરમાલિકો ગ્રીડમાં વેચી પણ શકશે, જેને માટે સ્માર્ટ મીટર પણ લાગશે.


comments powered by Disqus