રાજકોટ એરપોર્ટ ઉપર નવ વર્ષ બાદ એરકાર્ગો સર્વિસ શરૂ કરાઈ

Wednesday 09th June 2021 07:10 EDT
 

રાજકોટ: રાજકોટ એરપોર્ટ પર ૯ વર્ષ બાદ કાર્ગો સર્વિસ શરૂ થઈ છે. એર ઈન્ડિયાના પ્રથમ કાર્ગો બુકિંગમાં રાજકોટનું પપ્પી દિલ્હી પહોંચ્યું હતું. ગત મહિનાથી એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થઈ છે પરંતુ કોરોનાના લીધે લોકડાઉનમાં કાર્ગો બુકિંગ થયા નહોતા. સ્પાઇસ જેટ અને ઈન્ડિગો એરલાઈન કંપનીની ફ્લાઈટ હાલમાં બંધ છે જ્યારે એર ઈન્ડિયાની મુંબઈ દિલ્હી માટેની ફ્લાઈટ ઊડાન ભરી રહી છે. જેમાં રાજકોટથી દિલ્હી માટેની ફ્લાઈટમાં સર્વિસમાં પ્રથમ બુકિંગ પેટ (પપ્પી)નું કરાયું હતું. આ પપ્પીએ પ્લેનની સવારી કરી દિલ્હી પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જ્યારે જેટ એરવેઝની કાર્ગો સર્વિસ ચાલતી હતી તેમાં પણ સૌથી વધુ ડોગની અલગ અલગ બ્રીડ અને બર્ડસ-પોપટે પ્લેનની સવારીનો આનંદ માણ્યો હતો.
રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો સર્વિસ શરૂ થાય તે માટે ઉદ્યોગકારો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર સહિત અન્ય સંગઠનોમાંથી પણ માંગણી ઊઠી હતી. વ્યવસાયિક એકમોને તેમના પાર્સલ મોકલવા માટે અમદાવાદ સુધી ધક્કો થતો હતો પરંતુ નવ વર્ષના લાંબા સમય બાદ રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો શરૂ કરવામાં આવ્યું છે. કાર્ગોની મંજૂરી મળ્યા બાદ રાજકોટમાં કોરોના પીક આવતા કાર્ગો પાર્સલ માટે બ્રેક લાગી હતી.


comments powered by Disqus