રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર દિલ્હી પબ્લીક સ્કૂલ નજીકના કૂવામાંથી બે કૌટુંબિક ભાઇ અને એક બહેનના મૃતદેહ મળી આવ્યા હતાં.
કાલાવડ રોડ પર સ્કૂલ સામેના કાચા રસ્તા પર આવેલા કૂવામાં લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. કૂવામાંથી લાશને બહાર કઢાવીને ઓળખ મેળવવા મોબાઇલ ફોનના આધારે તપાસ કરતાં એ ત્રણેય મૃતદેહ મનહરપુર અને સંતોષીનગરમાં રહેતાં ૧૭ વર્ષના ડાહ્યા બાંભવા, કવા બાંભવા અને ૧૯ વર્ષની પરિણીત યુવતી પમી બાંભવાના હોવાનું ખુલ્યું હતું. મૃતક બન્ને તરુણ કવા અને ડાહ્યા પંચરની દુકાન ધરાવતાં હોવાનું જયારે મૃતક યુવતી પમીબહેનના ત્રણેક વર્ષ પહેલા સાતડા ગામના યુવાન સાથે લગ્ન બાદ ઘટનાના ત્રણ દિવસ પહેલા સાસરેથી પિયરે આવી હતી.
રાતના અગિયારેક વાગ્યાના સુમારે એ ત્રણેય ઘેરથી નિકળી ગયા હતાં અને એક બાઇક પર બેસીને વેજાગામ વાજડી નજીકના દિલ્હી પબ્લીક સ્કૂલ સામેના કાચા રસ્તે આવેલ કૂવા પર પહોંચ્યા હતાં. બાઇક અને તેની પાસેનો એક મોબાઇલ ફોન કૂવા નજીક રાખીને ત્રણેયે કૂવામાં પડતુ મૂકીને સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી.