વડોદરા: કોરોના સિવાયના અન્ય રોગ કે તકલીફ ધરાવતા લોકો માટે હોસ્પિટલમાં સાવાર અર્થે જવાનુ મુશ્કેલ હતું. કોરોનાકાળમાં લોકોને દૂર દૂરથી સારવાર માટે મોટા શહેરોમાં આવવાને કારણે સંક્રમિત થવાનું જોખમ હતું. આવા સમયે સરકારની ઇ-સંજીવની સેવા નાગરિકો માટે સાચા અર્થમાં સંજીવની સમાન બની રહી છે. વડોદરા જિલ્લો ઈ-સંજીવની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં ઘણા સમયથી મોખરે રહ્યો છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસ વડોદરા જિલ્લો રાજયમાં પ્રથમ હતો. કોવિડના હોમ આઇસોલેશનના દર્દીઓ પણ ઘરે બેઠા જ ડોક્ટરની સેવા લઇ શકે તે ઉદ્દેશથી સરકાર દ્વારા સપ્ટે-૨૦થી ઇ-સંજીવની સેવાની શરૂઆત કરવામાં આવી હતી.