• કમલા હેરિસ અને પીએમ મોદી વચ્ચે ફોન પર વાત થઇઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ૩ જૂનના ફોનમાં વેક્સિન અંગે ચર્ચા થઈ હતી જેમાં કમલા હેરિસે વેક્સિન સપ્લાયનું વચન આપ્યું છે. કમલા હૈરિસે જ વડાપ્રધાન મોદીને ફોન કર્યો હતો. વડા પ્રધાન મોદીએ કમલા હેરિસને ભારતની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું.
• વિદેશ જનારાઓના પાસપોર્ટ કોવિડ વેક્સિનેશન સર્ટિ. સાથે લિંક કરાશેઃ વિદેશ ભણવા જઇ રહેલા વિદ્યાર્થીઓ, વિદેશમાં નોકરી કરતા વ્યવસાયિકો, ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જાપાન જતાં એથ્લેટ્સ અને સ્ટાફ બેરોકટોક વિદેશ જઇ શકે તે માટે કેન્દ્ર સરકારે નવી સુવિધા જાહેર કરી છે. તેમના પાસપોર્ટને કોવિડ વેક્સિનેશન સર્ટિ. સાથે લિન્ક કરાશે. વિદેશયાત્રાના સંજોગોમાં ૨૮ દિવસ બાદ કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લઇ શકાશે.
• ભારત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રેન્કિંગમાં ૧૧૭માં રેન્ક પર પહોંચ્યોઃ ભારત વિશ્વના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રેન્કિંગમાં બે ક્રમ ગગડીને ૧૧૭મા રેન્ક પર પહોંચ્યો છે, આ મોરચે ભારત પાછલા વર્ષે ૧૧૫માં ક્રમ પર હતું. આ મોરચે ટચૂકડા પડોશી દેશો ભુતાન, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ ભારતની આગળ નીકળી ગયા છે.
• ભારતે આર્બિટ્રેશન ચુકાદાને બ્રિટિશ હાઇકોર્ટમાં પડકાર્યોઃ કેન્દ્ર સરકારે સેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પશ્ચિમી ઓફ શોર પન્ના મુક્તા અને તાપ્તિ તેલ અને ગેસ ફિલ્ડમાં કોસ્ટ રિકવરીના વિવાદના મામલે એક આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલના ચુકાદાને બ્રિટિશ હાઇકોર્ટમાં પડકાર્યો છે. રિલાયન્સે જણાવ્યું હતું કે આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલે ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
• દિલીપ કુમારના નિધનની અફવાથી સાયરાબાનો નારાજઃ બોલીવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમાર ૬ જૂનના મુંબઇમાં ખારની હિંદુજા હોસ્પિટલમાં દાખલ થયા છે. જેની જાણકારી તેમના સત્તાવાર ટિવટર એકાઉન્ટ પરથી આપવામાં આવી હતી. તેમની હાલત સ્થિર છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દિલીપ કુમારના નિધનના સમાચાર ફેલાયા હતા. પરિણામે અભિનેતાની પત્ની અને અભિનેત્રી સાયરાબાનો નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, દિલીપ સાહેબની તબીયત વિશે અફવાઓ ફેલાવશો નહીં.
• દેશમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસનો ગ્રાફ સતત નીચો જઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટનીને ૧૪ લાખની નજીક પહોંચી છે. બે મહિના પછી દેશમાં સૌથી ઓછામાં ઓછા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૦,૬૩૬ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ ૧,૭૪,૩૯૯ લોકો સાજા થયા છે. આ ઉપરાંત આ સમયમાં ૨૪૨૭ લોકનાં મોત થયા છે. દેશમાં કોરોના કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૮૯,૦૯,૯૭૫
થઈ છે.
• મે મહિનામાં GST આવક ઘટીને રૂ. ૧.૦૨ ટ્રિલિયન થઈઃ મે મહિનામાં જીએસટી આવક રૂપિયા ૧,૦૨,૭૦૯ કરોડ રહી હતી. એપ્રિલ મહિનામાં નોંધાયેલી રૂપિયા ૧,૪૧,૩૮૪ કરોડની આવકના મુકાબલે મે મહિનામાં જીએસટી આવક ઘટી છે. મે મહિના દરમિયાન સરકારની આવક પર આમ કોરોના મહામારીના બીજા મોજાને કારણે વિવિધ રાજ્યોમાં અમલી બનેલા લોકડાઉનની અસર જોવા મળી હતી.
• કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદારઃ કોન્સોર્ટિયમ ઓફ લેબ્સ અંડરટેકિંગ જિનોમ સિક્વન્સિંગ ઇન ઇન્ડિયા અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝના વૈજ્ઞાનિકોએ જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં કોરોનાના સેકન્ડ વેવ માટે અત્યંત ઝડપથી પ્રસરતો ડેલ્ટા વેરિઅન્ટ (B૧.૬૧૭.૨) જવાબદાર છે. B૧.૬૧૭ વેરિઅન્ટ અને તેનું મ્યૂટેશન B૧.૬૧૭.૨ આલ્ફા વેરિઅન્ટ (B.૧.૧.૭) કરતાં ૫૦ ટકા વધુ ઝડપથી પ્રસરતા હોવાના કારણે ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતકી બની હતી.
• ભાજપના નેતા રાકેશ પંડિતાની આતંકીઓએ હત્યા કરીઃ જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં જિલ્લાના ત્રાલમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત અને ભાજપના નેતા રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરી હતી. તેમને શ્રીનગરની એક સુરક્ષિત હોટલમાં રહેવાની સુવિધા અપાઈ હતી. તેઓ સિક્યુરિટી ગાર્ડ વગર જ મિત્રને મળવા ગયા હતા અને આતંકવાદી હુમલાના શિકાર થયા હતા.
• ભારતમાં ફસાયેલા વિદેશીઓની વિઝાની વધારાઈઃ કેન્દ્ર સરકારે કોરોના મહામારીના કારણે ભારતમાં ફ્સાઇ ગયેલા વિદેશી નાગરિકોના વિઝાની મુદ્દત ૩૧ ઓગસ્ટ સુધી લંબાવી છે. આ માટે વિદેશી નાગરિકે અલગથી કોઇ પૈસા ચૂકવવાના રહેશે નહીં.
• ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણાને શિક્ષણમાં A+ ગ્રેડઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રવિવારે સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (પીજીઆઈ) જારી કર્યો હતો. ૨૦૧૯-૨૦ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ, આંદામાન-નિકોબાર અને કેરળને ઉચ્ચતમ A++ અપાયો છે, જ્યારે ગુજરાત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને દાદરા નગર હવેલીને A+ ગ્રેડ અપાયો છે.
• વેક્સિન પાસપોર્ટ સામે ભારતે વિરોધ નોંધાવ્યોઃ વિશ્વભરમાં કોરોના મહામારીની વચ્ચે વેક્સિન પાસપોર્ટને લઈને ચર્ચા જોરશોરથી થઈ રહી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ વેક્સિન પાસપોર્ટની તરફેણ કરી છે. ભારતે આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેના ધ્યાનમાં રાખીને જી-૭ પ્લસ મિનિસ્ટર લેવલના સેશનમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, હજુ વેક્સિન પાસપોર્ટને ફરજિયાત કરવો એ યોગ્ય નથી. કારણ એ છે કે વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોમાં હજુ પણ લોકોના વેક્સિનેશનની ટકાવારી ઓછી છે.
• મમતાએ ભત્રીજા અભિષેક બેનરજીને મહાસચિવ બનાવ્યોઃ પશ્વિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પોતાના ભત્રીજા અભિષેક બેનરજીની તૃણમૃલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિમણુક કરી છે. તેઓ પક્ષના નેતા સુવ્રત બક્ષીનું સ્થાન લેશે. આ અંગેની જાહેરાત પક્ષના તેના પ્રથા ચેટરજીએ કરી હતી. તેમણે કહ્યું કે પક્ષની કારોબારી સમીતિએ એવું પણ નક્કી કર્યું છે કે ટીએમસીમાં એક વ્યક્તિ, એક પદનું પાલન કરવામાં આવશે.