અમદાવાદઃ કોવિડ-૧૯ની સેકન્ડ વેવમાં કેસની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ કોરોનામાંથી બહાર આવેલા નાગરીકો મ્યુકર માઈકોસિસની ઝપટે ચઢી રહ્યા છે. ભારતમાં મ્યુકરના સૌથી વધુ દર્દીઓ ગુજરાતમાં સારવારમાં છે. આથી, ભારત સરકારે સૌથી વધુ ૨૩,૬૧૦ એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શન ગુજરાતને ફાળવ્યા છે.
દેશમાં મ્યુકરના સૌથી વધુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ૫,૭૧૩ કેસમાંથી ૩,૯૨૯ દર્દીઓ સારવારમાં હોવાથી મહારાષ્ટ્રના હિસ્સે ૨૩,૧૧૦ ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં કુલ કેસ ૪,૯૭૮ સામે સારવાર હેઠળના દર્દીઓ મહારાષ્ટ્ર કરતા વધુ ૪,૦૨૬ છે. આથી, એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શનનો ક્વોટા મહારાષ્ટ્ર કરતા ગુજરાતને વધુ મળ્યો છે. ૧૧મી મેથી ૪થી જૂન સુધીમાં ભારત સરકારે મ્યુકરના એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોને ૩,૯૧,૦૬૦ ઈન્જેક્શન ફાળવ્યા છે.
કોરોના કેસના પ્રમાણમાં
ગુજરાતમાં ૦.૬૧%ને મ્યૂકર
ગુજરાતમાં મ્યુકરના સારવાર હેઠળના દર્દીઓ જ નહિ કોવિડ-૧૯ના કેસના પ્રમાણમાં પણ તેનું પ્રમાણ અત્યંત ઊંચુ અને ચિંતાજનક છે. ગુજરાતમાં કોરોનાના ૮.૧૩ લાખ કેસમાંથી ૪,૯૭૮ને મ્યુકર થયો છે. જે કુલ કેસના ૦.૬૧ ટકાનો દર સુચવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૫૭.૯૧ લાખ કોરોનાગ્રસ્તોમાંથી ૫,૭૧૩ને મ્યુકર થયો છે જે ૦.૦૯ ટકાનો દર સુચવે છે.