હોટેલ અને રિસોર્ટ્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

Wednesday 09th June 2021 06:55 EDT
 
 

અમદાવાદ: કોરોના મહામારી અને મિની લોકડાઉન દરમિયાન અનેક વેપાર ધંધા પર વિપરીત અસર પહોંચી છે. જેમાં ખાસ કરીને હોટેલ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. સરકારે પણ મોટું મન રાખીને હોટેલ, રેસ્ટોરન્ટ, રીસોર્ટ્સ તેમજ વોટર પાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી મુક્તિ આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
મુખ્યપ્રધાનના નિર્ણય મુજબ આ ઉદ્યોગોએ ૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના એ વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે નહીં. ઉપરાંત, એક વર્ષ સુધી આ ઉદ્યોગોને વીજબીલનાં ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. એટલે કે ખરેખર જેટલી વીજળીનો વપરાશ થયો હસે તેના પર જ વીજબીલ આકારીને તે મુજબનો ચાર્જ વસુલવામાં આવશે. કોરોનાના સંક્રમણના આ કપરા સમયમાં હોટેલ, રેસ્ટોરન્ટ, રીસોર્ટ્સ તથા વોટર પાર્ક્સને આ પ્રકારની રાહત આપવાના મુખ્યપ્રધાન રૂપાણીના નિર્ણયથી આ ઉદ્યોગને આર્થિક ફાયદો થશે.


comments powered by Disqus