જૂનાગઢની ૧૨૧ વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજને હેરિટેજ સ્મારકમાં સ્થાન; મધ્ય ખંડ પીલર વગરનો

Wednesday 11th August 2021 08:19 EDT
 
 

જૂનાગઢઃ જૂનાગઢના નવાબના સાળા અને જે ખુદ ભણ્યા નહોતા એ વઝીર બહાઉદ્દીનભાઇના નામની કોલેજને રાજ્ય સરકારે હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ હવે જૂનાગઢની ઐતિહાસિક ઓળખ સમા સ્થળો હવે જીવંત બની જશે.
બહાઉદ્દીન કોલેજ લગભગ ૧૯૬૪-૬૫થી તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે જોડાયેલી છે તેના બિલ્ડિંગનું જૂની બાંધણીવાળું કલાત્મક માળખું, એ સમયનો એશિયાનો એકપણ પીલરના ટેકા વિનાનો સેન્ટ્રલ હોલ, વગેરે બાબતોને કાયમી ધોરણે જાળવી રાખવા માટે ખુદ રાજ્ય સરકાર જ કાર્યરત થશે. આ બિલ્ડિંગની ઇમારતની વિશેષતા એ છે કે, તેના મધ્ય ખંડ ૧૦૦ ફૂટ લાંબો અને ૬૦ ફૂટ પહોળો અને ઉંચી છત હોવા છત્તાં તેમાં એકપણ પીલર નથી. એ સ્થાનિક કારીગરની કોઠાસૂઝનો ઉત્તમ નમૂનો છે.
ઇમારતની વિશેષતા
• ૨૫ માર્ચ, ૧૮૯૭ના રોજ પાયા વિધી
• ૩ નવે. ૧૯૦૦ ના રોજ શિક્ષણકાર્ય શરૂ
• રૂ. ૨.૫૦ લાખનો બાંધકામ ખર્ચ
• ૧૯૦૧ માં બહાઉદ્દીન કોલેજનું મુંબઇ યુનિવર્સિટી સાથે જોડાણ
• ૯૭ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે દાખલ થયા હતા
• ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ થનાર જે. એલ. સાઠ
• કોલેજમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, ફારસી, ફ્રેન્ચ, તત્વજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્રનો, પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ હતો
• પ્રથમ પ્રિન્સિપાલ માર્શ હેસ્કેથ હતા
• જેઠાભાઇ ભગાભાઇ મિસ્ત્રીએ ઇમારતનું બાંધકામ કર્યું હતું
બહાઉદ્દીન કોલેજમાં શિક્ષણ મેળવેલી હસ્તિઓ
ઝવેરચંદ મેઘાણી, ગૌરીશંકર જોષી (ધૂમકેતુ), મનોજ ખંડેરિયા, શૂન્ય પાલનપુરી, રાજેન્દ્ર શુક્લ, ગિરીજાશંકર આચાર્યએ બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો હતો.


comments powered by Disqus