ચાંગા: કોરોનાના કપરા કાળમાં દેશવિદેશમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી અવિરત વહેવડાવવામાં આવી રહી છે ત્યારે ભૂતપૂર્વ સંસદસભ્ય અને દાતા દિનશા પટેલ દ્વારા સંચાલિત સંસ્થાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવતા રૂ.૧.૧૮ કરોડનું દાન વિવિધ સંસ્થાઓને આપવામાં આવ્યું છે. નડિયાદ સંતરામ મંદિરમાં પરમવંદનીય પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ, શ્રી હરિદાસજી મહારાજ, શ્રી નિર્ગુણદાસજીમહારાજ, શ્રી સત્યદાસજી મહારાજ અને અન્ય સંતગણની હાજરીમાં હિન્દુ અનાથ આશ્રમ નડિયાદના પ્રમુખ દિનશા પટેલ અને આશ્રમ ટ્રસ્ટીઓની હાજરીમાં રૂ.૧ કરોડનો ચેક કોરોનાની મહામારીમાં મદદરૂપ થવા અર્પણ કરવામાં આવ્યો હતો.
નડિયાદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમ દ્વારા સંતરામ મંદિર નડિયાદને રૂ.૧ કરોડ, દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી સંતરામ મંદિરને રૂ.૫ લાખ, ચાંગા સ્થિત ચારુસેટ હોસ્પિટલને ૨ વેન્ટિલેટર માટે રૂ.૧૨.૫૧ લાખનું માતબર દાન આપવામાં આવ્યું છે. આમ કુલ રૂ.૧.૧૮ કરોડનું મહામૂલું દાન દિનશા પટેલ સંચાલિત સંસ્થા હિન્દુ અનાથ આશ્રમ અને દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વિવિધ સંસ્થાઓને એનાયત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દિનશા પટેલ દ્વારા ચારુસેટ યુનિવર્સીટીમાં CSPIT કોલેજમાં રૂ.૫૧.૨૫ લાખ, ચારુસેટ હોસ્પિટલ માટે રૂ.૬૪.૫૧ લાખ, પેશન્ટ વેલ્ફેર ફંડ માટે રૂ.૧૧ લાખ, ગોલ્ડ મેડલ એન્ડોવમેન્ટ ફંડ માટે રૂ.૫ લાખ સહિત કુલ રૂ.૧.૩૨ કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. દિનશા પટેલે તાજેતરમાં જ કોરોનાને હરાવ્યો છે તેથી તેઓ કોરોનાની મહામારીમાં લોકોને પડતી મુશ્કેલીઓથી પરિચિત છે.