પાલનપુરઃ રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ વધ્યો છે. તે વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ટેટોડા સ્થિત શ્રી રાજારામ ગૌશાળામાં વેદલક્ષણા પંચગવ્યાયુવેદ કોવિડ આઇસોલેશન કેન્દ્રમાં ૫૦ બેડ તૈયાર કરાયા છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આયુર્વેદ અને પંચગવ્યામૃત ઔષધીઓ દ્વારા ઉપચાર કરાશે. વેદલક્ષણા ગૌથી પ્રાપ્ત થયેલ પંચગવ્ય જેમાં ગૌમુત્ર, ઘી, દૂધ તથા દહીં સાથે અનેક આયુર્વેદિક ઔષધીથી તૈયાર કરવામાં આવેલું પંચગવ્યામૃત ઔષધીઓ દ્વારા સારવાર આપવામાં આવે છે. જ્યારે દર્દીઓને ગોબર, ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજન પ્રસાદ આપવામાં આવશે. કોરોના દર્દીઓને આઇસોલેશન કેન્દ્રમાં પૂજા-ઉપાસના, ગોધૃત, ગુગળ અને હવન સામગ્રીથી પ્રતિદિન યજ્ઞ ધૂપ દ્વારા વાતાવરણમાં કોરોના દર્દીઓ માટે પ્રાણશક્તિનું નિર્માણ કરાશે.
શ્રી રાજારામ ગૌશાળા આશ્રમમાં તૈયાર થયેલા કેન્દ્ર માં ૧ આયુર્વેદ અને ૧ એલોપથી ડૉકટર સાથે ૫ નર્સ કોવિડ દર્દીઓને સારવાર આપશે. કોવિડ કેર સેન્ટરમાં ઠંકડ રહે તે હેતુથી સમગ્ર કોવિડ કેરની આજુબાજુ ઘાસ લગાવવામાં આવ્યું છે. જેથી કોવિડ સેન્ટરમાં કુદરતી રીતે તાપમાન જળવાઈ રહી. આ અંગે ગૌશાળાના સંચાલક રામરતન મહારાજે જણાવ્યું હતું કે ભારતીય આયુર્વેદમાં મહામારી તેમજ અસાધ્ય રોગોને ઈલાજ માટે ગાય માતા દ્વારા તૈયાર થયેલા ખોરાક દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ આપશે. જ્યારે આયુર્વેદ અને એલોપથી ઈલાજના કારણે દર્દીઓ જલ્દી સાજા થશે. વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ પદ્ધતિથી દર્દીઓની સારવાર થશે. પાંચ હજાર ગાય જ્યાં રહે છે ત્યાં તેમની સાથે રહી કુદરતી વાતાવરણમાં કોરોના દર્દીઓ સારવાર મેળવશે.ગૌ શાળામાં ભોજન, મેડિકલ, રહેવાનો ચાર્જ લેવામાં આવતો નથી.