પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની ૭૦ વર્ષ પહેલાં પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી

Wednesday 12th May 2021 05:28 EDT
 
 

સોમનાથઃ સોમનાથ મંદિરના ભાતીગળ ઇતિહાસમાં અનેક વખત તેનો વિધર્મીઓ દ્વારા વિધ્વંસ થયો છે, પરંતુ રાષ્ટ્રના આ પ્રથમ જ્યોતિર્લિંગને સનાતની હિન્દુઓએ દરેક વખતે ભવ્ય મંદિર બાંધીને શિવપૂજાની પરંપરા જાળવી રાખી છે. ઔરંગઝેબના સેનાપતિ દ્વારા વર્ષ ૧૭૦૩માં મંદિરનો જે વિધ્વંસ થયો, ત્યાર બાદ માળવાનાં મહારાણી અહલ્યાબાઇની પ્રેરણાથી ગાયકવાડી શાસને જૂનાગઢના નવાબ સાથે કલમબંધી કરાર કરીને ૧૭૮૩ની સાલમાં મૂળ મંદિરથી ૧૦૦ મીટર દૂર શિવમંદિરનું નિર્માણ કર્યું. જ્યાં ૨૪૮ વર્ષથી મહાદેવજીની પૂજાનો ક્રમ અવિરત જળવાઇ રહ્યો છે. અહલ્યાબાઇ નિર્મિત મંદિરનું રિનોવેશન તાજેતરમાં થયું છે.
આઝાદી બાદ જૂનાગઢના નવાબે જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવ્યું. પરંતુ આરઝી હકૂમત અને સરદાર વલ્લભભાઇ પટેલના કુનેહભર્યા વલણને કારણે જૂનાગઢનો વહીવટ ભારત સરકારના કમિશનરને સોંપીને જુનાગઢનો નવાબ પાકિસ્તાન નાસી ગયો. વિક્રમ સંવત ૨૦૦૩ના નૂતન વર્ષે સરદાર પટેલે ક.મા. મુનશી, કાકાસાહેબ, ગાડગીળ અને જામસાહેબ સાથે સોમનાથના ભગ્ન મંદિર સામે સંકલ્પ કર્યો કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થશે. પંડિત નેહરુના વિરોધને અવગણીને સરદાર પટેલે સોમનાથ મંદિરના પુનિર્માણનું કાર્ય આગળ ધપાવ્યું. કમનસીબે ૧૫મી ડિસેમ્બર ૧૯૫૦ના રોજ તેમનો દેહાંત થયો. સોમનાથનું નવું મંદિર પૂજા માટે ૧૧ મે ૧૯૫૧ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાવિકો માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય થયો. પ્રાણપ્રતિષ્ઠાનું કાર્ય પં.નેહરુના તીવ્ર વિરોધ વચ્ચે પણ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે સંપન્ન કર્યું. ૧૧ મે નો દિવસ સોમનાથની પ્રાણપ્રતિષ્ઠાના આ વર્ષે ૭૦ વર્ષ પૂરાં કરે છે.


comments powered by Disqus