ભરૂચઃ જિલ્લામાં હાલ કોરોના મહામારી વચ્ચે ૨૦૦૦ જેટલા એક્ટિવ દર્દીઓ વિવિધ ૬૦થી વધુ કોવિડ હોસ્પિટલ સાથે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યાં છે. જિલ્લાને ઓક્સિજનની હાલની રોજિંદી જરૂરિયાત ૪૦ ટન આસપાસ છે, તેની સામે જ એકમાત્ર GNFC કંપની નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનમાં કન્વર્ટ કરી રોજ ૬૦ ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી ફ્રીમાં પૂરો પાડી રહી છે. જિલ્લામાં દહેજની લીન્ડે, ભરૂચની જી.એન.એફ.સી કંપની રોજના ૨૧૦ ટન ઓક્સિજન ઉત્પાદન કરી રહી છે. જ્યારે કુલ મળી ૨૩થી વધુ કંપનીઓ ૨૫૦ ટન જેટલુ ઓક્સિજન ઉત્પાદન કરી રહી છે. જે સરપ્લસ જથ્થો (અંદાજીત ૨૦૦ ટન) ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતે પુરો પાડવામાં આવી રહ્યો છે.
હજી સુધી જિલ્લામાં ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનું મૃત્યુ થયુ નથી. પરંતુ ઓક્સિજન બોટલ, ફ્લો મીટર કે ઓક્સિજન બેડ નહિ મળવાથી આવા કિસ્સાઓમાં હતભાગી દર્દીઓ મોતને ભેટ્યા છે. એશિયાની નંબર ૧ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જ બીજા વેવની સ્થિતિ અને ત્રીજા વેવ માટે તૈયાર રહેવા ઓક્સિજન પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું છે. નાઇટ્રોજનના પ્લાન્ટને ઓક્સિજનમાં તબદીલ કરી દેવાયા છે. જે રોજ ૧૫૦ ટન જેટલા ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યાં છે. જેને લઈ કહી શકાય કે ઔદ્યોગિક નગરી અને પ્રાચીન ભૃગુનગરી ઓક્સિજનના ઉત્પાદનમાં કોરોનાકાળમાં આત્મનિર્ભર છે.