ભુજઃ મુસ્લિમ સમાજનાં ઉત્થાન માટે તેમનું સમગ્ર જીવન સર્મિપત કરી નાખનારા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તી-એ-કચ્છ એ ફાની દુનિયાને અલવિદા કરી હતી. ૯૭ વર્ષની જૈફ ઉંમરે કર્મભૂમિ માંડવી ખાતે તેમનો ઈન્તકાલ થતાં સમગ્ર કચ્છમાં શોકનું મોજું ફરીવળ્યું હતું. તેમની દફનવિધિ સવારનાં ૭.૫૦ વાગ્યે જનાઝા નમાજ પઢી મોટા સલાયા મખદુમ હાજી ઈબ્રાહીમશા દરગાહ શરીફ કમ્પાઉન્ડ મધ્યે કરવામાં આવી હતી.
સમગ્ર કચ્છમાં કોમી એક્તાનાં મિસાલ સમા એવા હજરત હાજી અહમદશા બાવા બુખારી મુફ્તી-એ-કચ્છનો ટૂંકી બીમારીથી ઈન્તકાલ થતાં માત્ર મુસ્લિમ સમાજ નહીં બલ્કે હિન્દુ સમાજમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. દશ દિવસ અગાઉ જ એમનાં જયેષ્ઠ પુત્ર હાજી અનવરશા બાવાનો ઈન્તકાલ થતાં ચાલી રહેલા પવિત્ર રમજાન માસમાં જ પિતા-પુત્રે ફાની દુનિયાને વિદાય કરી હતી. મુફ્તી-એ-કચ્છ હાજી અહેમદશા બાવા બુખારીનો ઈન્તકાલ થતાં માંડવી ખાતે તેમની દફનવિધિમાં મિયાણા જમાતનાં પ્રમુખ સહિત વિશાળ સંખ્યા મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજનાં લોકો હાજર રહ્યા હતા. લંડન સ્થિત મહમદ કાદરીસાહેબે શોક સંદેશો પાઠવ્યો હતો. માંડવી તાલુકાનાં મુસ્લિમ બિરાદરોએ પોતાના કામ ધંધા બંધ રાખ્યા હતા. કચ્છમાં કોઈ કુદરતી આપત્તિ હોય કે કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ હોય ત્યારે મુફ્તી-એ-કચ્છ દ્વારા શાંતિની અપીલનાં આદેશથી હંમેશાં શાંતિ સ્થપાઈ જતી.