રાજકોટમાં વેન્ટિલેટર વિના દર્દીઓ મર્યા અને સિવિલ દ્વારા ખાનગી હોસ્પિ.ને લ્હાણી

Wednesday 12th May 2021 06:34 EDT
 
 

રાજકોટઃ શહેરમાં છેલ્લા ૨૦ દિવસથી લોકો વેન્ટિલેટર બેડની અછતથી પરેશાન છે. સિવિલ હોસ્પિટલમાં ૬૫૦થી વધુ દર્દીઓ એવા હતા કે જેઓની હાલત ગંભીર હતી પણ વેન્ટિલેટર ખાલી ન હોવાથી મોતને ભેટ્યા હતા. એક મહિનામાં ૪૦૦૦થી વધુ દર્દીઓ દાખલ થયા પણ આટલા દર્દી વચ્ચે ૨૦૧ જ વેન્ટિલેટર હતા. આવી કપરી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં નવા ૪૦ વેન્ટિલેટર ખરીદ કરીને વસાવાયા હતા જ્યારે અન્ય જિલ્લાઓમાંથી પણ વેન્ટિલેટર ઉધાર લેવાયા હતા આમ છતાં વેન્ટિલેટર પૂરતા ન હોવાથી ઘણા દર્દીઓના શ્વાસ થંભી ગયા હતા અને જરૂર હોવા છતાં વેન્ટિલેટર પર મૂકી શકાયા ન હતા.
સિવિલના મોંઘાદાટ ૧૦૩ વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલ ઉસેડી ગઈ છે અને તેનો ઉપયોગ કરીને દર્દીઓ પાસેથી પ્રતિ દિવસના ૨૧૫૦૦ના ભાવે ચાર્જ વસૂલી રહ્યા છે અને અત્યાર સુધીમાં માત્ર વેન્ટિલેટરમાંથી જ ૫૪.૪૭ કરોડની કમાણી કરી લીધી છે. ઓગસ્ટ માસમાં જ્યારે કોરોનાની પ્રથમ લહેર રાજ્ય પર ત્રાટકી ત્યારે લોકો પાસે સિવિલ હોસ્પિટલ સિવાયના વિકલ્પ ઓછા હતા. તંત્રે લોકોની મદદ થાય તે માટે નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા ખાનગી હોસ્પિટલને વિનંતી કરી હતી ત્યારે હોસ્પિટલ્સે કહ્યું હતું કે, વેન્ટિલેટર મોંઘા આવે છે તેમજ અત્યારે અછત હોવાથી વધારે ભાવ છે. આ કારણે રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલમાં જે વધારાના વેન્ટિલેટર છે તે ટૂંકા ગાળા એટલે કે વેન્ટિલેટર ખરીદે ત્યાં સુધી ઉધાર આપ્યા હતા. રાજકોટમાં આવા ૧૦૩ વેન્ટિલેટર ૩૮ હોસ્પિટલ ઉસેડી ગઈ અને ત્યારથી અત્યાર સુધી પરત આપ્યા જ નથી. આ કારણે જ્યારે સિવિલ હોસ્પિટલમાં અછત ઊભી થઈ તો તંત્ર પાસે કોઇ વિકલ્પ ન રહેતા ઘણા દર્દીઓ વેન્ટિલેટર વગર મોતને ભેટ્યા છે.


comments powered by Disqus