રાજ્યમાં મ્યુકર માઇકોસિસને લીધે કોવિડ પેશન્ટ ગુમાવી રહ્યાાં છે આંખ

Wednesday 12th May 2021 05:36 EDT
 
 

અમદાવાદઃ કોરોનાના દર્દીઓને બચાવવા અપાતા સ્ટિરોઇડથી શરીરના ન્યૂટ્રોફિલ ડિસફંક્શન થવાને લીધે રાજ્યમાં મ્યૂકર માઇકોસિસના કેસ વધ્યા છે. અમદાવાદમાં 13, સુરતમાં ૨૦, ભાવનગરમાં ૧૦, રાજકોટમાં 4 સહિત રાજ્યમાં 40થી વધુ કોરોના દર્દીઓએ આંખ ગુમાવી છે.
સંક્રમિત દર્દીઓને સ્ટિરોઇડ આપવાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી મ્યુકર માઈકોસિસનું ઇન્ફેક્શન ફેલાય છે. ડાયાબિટીસ, કેન્સર અથવા શરીરમાં કોઈ પણ પ્રકારની સર્જરી કે ચામડીના રોગ હોય તેવા દર્દીઓને આ રોગનું જોખમ વધુ હોય છે. સુરતની કિરણ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને મ્યુકર માઈકોસીસ થતા તેમની આંખમાં ફંગસ ફેલાયું હતું. આંખ કાઢવામાં ન આવે તો મગજ સુધી આ ઈન્ફેકશન ફેલાવવાનો ખતરો હોવાથી ડોકટરોએ વેન્ટીલેટર પર જ સર્જરી કરી આંખ કાઢી લીધી હતી. કોરોના સામે લડતા દર્દીઓમાં ફેફસામાં વાઈરસ વધુ સક્રિય થાય ત્યારે સાઈકોટાઈમ સ્ટ્રોમનું જોખમ ઉભું થાય છે. તેને ઓછું કરવા માટે જે સ્ટીરોઈડનો ઉપયોગ થાય છે તેના કારણે મ્યુકર માઈકોસીસ થાય છે. આ રોગની શરૂઆત નાક અને ગળામાંથી થાય છે. ફંગસ થતા નાક ભરાઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ફંગસ આંખ, ફેફસા અને મગજ સુધી પહોંચી જાય છે. વાતાવરણમાં રહેલી આ એક પ્રકારની ફૂગ હોય છે. મ્યુકોરામાઇકોસીસના રોગની સારવાર અત્યંત ખર્ચાળ છે જેમાં આંખોના સર્જન પાસે ઓપરેશન કરાવવું પડે છે. જેમાં અઢી લાખ સુધીનો ખર્ચો થાય છે. તેમાં ઇન્જેકશન પણ ૧૫દિવસ સુધી લેવા પડે છે તેનો પણ હજારોમાં ખર્ચ આવે છે.

આ બીમારીના લક્ષણો શું છે

શ્વાસ લેવામાં તકલીફ,આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો,માથાનો દુ:ખાવો, તાવ, નાક ભરાઈ જવું,મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા,છાતી, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી જેવા આ બિમારીના લક્ષણો છે.

હવે મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શનની તંગી

કોરોનામાં રેમડેસિવીર બાદ હવે મ્યુકર માઇકોસિસ માટેના ઇન્જેક્શન ભારે અછત સર્જાઇ છે. જેને કારણે દર્દીના સગાને એકથી બીજા મેડિકલ સ્ટોર્સની રઝળપાટ છતાં ઇન્જેક્શન મળતાં નથી.મ્યુકર માઇકોસિસની સારવાર અત્યંત ખર્ચાળ છે, જેમાં દર્દીના વજન પ્રમાણે દરરોજના ૬થી ૯ ઇન્જેક્શન આપવા પડે છે, એક ઇન્જેક્શનની કિંમત રૂ.૬થી ૭ હજાર હોય છે અને ૨૦થી ૨૮ દિવસ ઇન્જેક્શનના કોર્સનો ખર્ચ રૂ.૧૩થી ૧૪ લાખ થાય છે.
ડાયાબિટીસના દર્દી કે જેને કોરોના થયો હોય તેમને મ્યુકર માઇકોસિસ થવાની શક્યતા વધુ છે. ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર બાદ ૧ હજારે ૨૦ લોકોને બદલે બીજી લહેરમાં ૧૦૦માંથી ૩૦ લોકો મ્યુકર માઇકોસિસનો શિકાર બને છે. કેસમાં અચાનક ઉછાળો આવતા તેની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરિસિન-બી સહિતના ઇન્જેક્શનની ભારે અછત છે. દરરોજ ૫૦થી વધુ લોકો ઇન્જેક્શનની ઇન્ક્વાયરી કરે છે.

રાજકોટમાં રાજ્યના સૌથી મોટા મ્યુકરમાઇકોસિસ વોર્ડનો પ્રારંભ

કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં તેના બાદ થતો મ્યુકરમાઈકોસિસનો રોગ ગંભીર રીતે વકરી રહ્યો છે. રાજકોટમાં મ્યુકરના કેસ વધી રહ્યા છે. આ સાથે હાલ દર્દીની સંખ્યા ૧૨૫ થતા ટ્રોમા સેન્ટરને મ્યુકર વોર્ડમાં ફેરવવામાં આવશે અને રાજકોટમાં રાજ્યનો સૌથી મોટો ૨૫૦ બેડ ધરાવતો મ્યુકર માઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે.
રાજકોટ સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી જતા ટ્રોમા સેન્ટરનું બિલ્ડિંગ ખાલી કરાવાયું છે અને ત્યાં દાખલ કોરોનાના દર્દીઓને શિફટ કરી મ્યુકરના દર્દીઓને શિફટ કરાઇ રહ્યા છે. મ્યુકરમાં સર્જરી બાદ ઇન્જેક્શન પણ મહત્વના હોય છે. તેથી ૧ કોરોડ રૂપિયાથી વધુની કિંમતના ઇન્જેક્શનનો જથ્થો પણ આરોગ્ય વિભાગ દ્વારા પહોંચાડવામાં આવ્યો છે. અને પુરી તૈયારી કરાઇ હતી. સિવિલમાં હાલ દરરોજની ૫ સર્જરીઓ થઈ રહી છે હજુ સુધી એક જ સર્જન સર્જરી કરી રહ્યા છે જોકે હવે બે સર્જનને ડેપ્યુટેશન પર મુકાશે.

'મિનિ-લોકડાઉન' વધુ એક સપ્તાહ લંબાવાયું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક બાદ ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યા છે.

 કોરોનાગ્રસ્તના રિકવરી રેટમાં ૪ ટકાનો સુધારો

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઇ હતી. રાજ્યમાં કેસમાં સતત નજીવો ઘટાડો થઇ રહ્યો છે અને રાજ્યમાં ૮ દિવસમાં રિકવરીમાં ૪ ટકાનો સુધારો થયો છે.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દૈનિક ૧૦ હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ૫ લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટમાં સતત સુધારો થઇ રહ્યો છે. ૧ મેના રોજ રિકવરી દર ૭૩.૭૮ ટકા હતો જે સુધરીને ૮મેના રોજ ૭૭.૩૬ ટકા થઇ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬,૬૯,૯૨૮ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુઆંક ૮,૨૭૩ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૫,૧૮,૨૩૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧,૪૩,૪૨૧ એક્ટિવ કેસ છે. જેમાંથી ૭૮૨ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે ૧,૪૨,૬૩૯ દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં વેક્સિન લેવા માટે કેટલાક સેન્ટરોમાં લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી.

૧૪ દિવસમાં ૧૨૩૨ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત

કોરોના મામલે થયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકાર આગામી દિવસોમાં જવાબ રજૂ કરશે. છેલ્લા એક મહિનામાં સરકારે કોરોનાને અટકાવવા શું પગલાં લીધાં તે અંગે વિગતવાર સોંગદનામું તૈયાર કરાયું છે. જેમાં રજુઆત કરાઇ છે કે ૨૩ એપ્રિલથી ૫ મે સુધીમાં રાજ્યમાં સરેરાશ ૧૨૩૨ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડી છે. સરકારે જિલ્લાવાર કેટલા રેમેડેસિવિર ઇન્જેક્શન પહોંચાડ્યા તેની પણ વિગતો સોગંદનામામાં રજૂ કરી છે.
ઓક્સિજનની અછતને લીધે ઔદ્યોગિક એકમો બંધ કરી ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલને પૂરો પડાયો છે. સરકાર રોજ ૧૦૦થી ૧૨૦ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહી છે. ૩૩ જિલ્લામાં છેલ્લા ૨ સપ્તાહમાં કેટલા ઇન્જેકશન પહોંચાડ્યાં તે અંગે માહિતી આપવામાં આવી છે. અમદાવાદમાં કુલ ૨,૩૪,૯૫૭ રેમડેસિવિરની જરૂરિયાત હતી તેની સામે ૧,૮૩,૨૬૭ ઇન્જેકશન પૂરા પડાયા હતા. રાજ્યભરમાં કુલ ૧૦ લાખ ૩૧ હજાર ઇન્જેકશનની જરૂરિયાત હતી તેની સામે ૭ લાખ ૭૬ હજાર ઇન્જેકશન પૂરા પાડવામાં આવ્યાં છે.

૭૫ ટકા વસ્તી સામે ટેસ્ટ ૨૯ ટકા જ કર્યા!

ગુજરાત સરકારના મારૂ ગામ કોરોના મુક્ત અભિયાનમાં ગામેગામ ખાટલા ઢાળી કોવિડ કેર સેન્ટર ખુલ્લા મુક્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહી છે. પરંતુ, વાસ્તવિકતા એવી છે કે ગ્રામીણ ગુજરાતમાં કોરોનાના નિદાન માટે અનિવાર્ય રેપિડ એન્ટીજન- RAT કે RT-PCR ટેસ્ટ જ થતા નથી. ગુજરાતમાં ૨૪.૩૯ ટકા વસતિ ધરાવતા ૮ મહાનગરો સહિતના ૮ જિલ્લામાં ૬ઠ્ઠી મેના રોજ એક જ દિવસમાં ૭૧.૦૮ ટકા કોરોનાના ટેસ્ટ થયા હતા. આ જ દિવસે બાકીના ૭૫.૬૧ ટકા વસ્તી ધરાવતા ગ્રામીણ ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં માત્ર ૨૮.૯૨ ટકા જ ટેસ્ટ થયા છે. આ તફાવત જ સ્વયં સ્પષ્ટ કરે છે કે સરકારમાં ગામડાઓને નહીં પણ શહેરોને જ પ્રાથમિકતા મળી રહી છે.
કોરોના થયા પછીની સારવાર તો દૂર રહી પણ અંતરિયાળ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં RT-PCR ટેસ્ટ માટે પુરતી વ્યવસ્થા પણ નથી. હાઈકોર્ટે ‘અમદાવાદ એ જ ગુજરાત નથી’ એવી ગંભીર ટિપ્પણી કર્યા પછી ગુજરાત સરકારે કાગળ ઉપર લેબોરેટરીઓ તો ઉભી કરી દીધી છે પણ હજી સુધી તે સંપૂર્ણપણે કાર્યરત નથી. તેવામાં ગામે ગામ ટેસ્ટિંગ- ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ટ્રિપલ- Tની શબ્દ બાંધણી વચ્ચે વહિવટી તંત્રને પણ ફાવતું મળ્યું હોય તેમ તસ્વીરો અને બેડની સંખ્યા ગણાવી રોજેરોજ નવા કોવિડ કેર સેન્ટરો શરૂ કર્યાના રિપોર્ટ સરકારમાં સબમિટ કરી રહ્યું છે.

શહેરોમાં કેસ ઘટયા અને ગામડામાં વધ્યા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કલોલના આરસોડિયા ગામના કોવિડ કેર સેન્ટરની મુલાકાતે હતા. જ્યાં તેમણે શહેરોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને ગામડાઓમાં વધી રહ્યા છે ત્યારે લક્ષણો જણાય એટલે તરત કેર સેન્ટરમાં આઈસોલેટ થઈ જવા ગ્રામજનોને અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે, સમયસર સારવાર થાય તો ઝડપથી સાજા થઈ શકાય છે. નિદાન, સારવાર વગર ૮-૧૦ દિવસ પછી ઓક્સિજન ૮૦એ પહોંચે ત્યારે બચાવવાનું અઘરૂ થઈ પડે છે. આથી, શરૂઆતમાં જ કોરોનાથી ચેપગ્રસ્ત આઈસોલેટ થાય તે સૌના હિતમાં છે.
રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્સિજન ખુટયો હોય અને દર્દીઓ મૃત્યું પામ્યા હોય તેવો એક પણ બનાવ બન્યો નથી. મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનથી ૧૫ દિવસમાં પરિવર્તન લાવવાનું કહેતા તેમણે કોવિડ કેર સેન્ટરમાં દવાઓ, ભોજન- પાણી સહિતની વ્યવસ્થાઓ કર્યાનું કહીને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓને ત્યાં આઈસોલેટ થઈને સારવાર કરાવવા અપિલ કરી હતી.

ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૭ લાખને પાર

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી. પરંતુ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૭ લાખને પાર થઈ ગયો છે. સતત સાતમા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. છેલ્લા ૧૨ દિવસથી રાજ્યમાં રોજ ૧૦ હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે.
રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૮૦.૦૪ ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭ લાખ ૩ હજાર ૫૯૪ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૮ હજાર ૬૨૯ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૫ લાખ ૬૩ હજાર ૧૩૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસ જોઈએ તો રાજ્યમાં હાલ ૧ લાખ ૩૧ હજાર ૮૩૨ એક્ટિવ કેસ છે, જેમાંથી ૭૯૮ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૧ લાખ ૩૧ હજાર ૩૪ દર્દીની હાલત સ્થિર છે.


comments powered by Disqus