ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આજે આત્મીયધામ- વડોદરા ખાતે આત્મીય પોઝિટિવ કેર- પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પૂજ્ય સંતોના આર્શીવાદથી શરૂ કરેલું આત્મીય પોઝિટિવ કેર સેન્ટર કોરોનાના દર્દીઓમાં આત્મ વિશ્વાસનો નવો સંચાર કરશે. આ સેન્ટર કોરોના બાદ માનસિક અને હતાશ થયેલા લોકોને નવું મનોબળ પુરૂ પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભગવાન સ્વામિનારાયણે પણ વન વિચરણ દરમિયાન રોગીઓની સેવા કરી હતી. શિક્ષાપત્રીમાં પણ માંદા-રોગી જનની આજીવન સેવા કરવાના શિખ આપેલી છે.
પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, લોકો અને સમાજની સેવા કરવી એ જ અમારી મુખ્ય ફરજ છે. ભગવાનના આર્શીવાદ અને સૌના સહયોગથી આપણે આ કોરોના સામેનો જંગ જલદીથી જીતશું અને ગુજરાતને કોરોના મુક્ત બનાવીશું. સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે આત્મીય પોઝિટિવ કેર સેન્ટર શરૂ કરવા બદલ સંતશ્રીઓ અને યોગી ડિવાઇન સોસાયટીનો આભાર માન્યો હતો. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આત્મીય પોઝિટિવ કેરની કામગીરીની રૂપરેખા આપીને સૌને માહિતગાર કર્યા હતા. ભક્તો ઓનલાઇનના માધ્યમથી સહભાગી થયા હતા.