ગાંધીનગર: ગુજરાત સરકારના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું હતું કે વિદેશી યુનિવર્સિટીમાંથી મેડિકલની ડિગ્રી મેળવનારાં તબીબો પણ ગુજરાતમાં આગામી ત્રણ માસ માટે કોવિડ સહાયક તરીકે કોરોનાના દર્દીઓની સારવાર માટે કામ કરી શકશે. વિદેશી ડિગ્રી મેળવનારા તબીબોએ ભારતમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે એફએમજીઇની પરીક્ષા પાસ કરવાની રહે છે. ત્યારબાદ જ તેઓની ભારતમાં પ્રેક્ટિસ કરવાની છુટ મળે છે.
પરંતુ આ પરીક્ષા આપી ન હોય કે તેમાં ઉત્તિર્ણ ન થયાં હોય તેવાં તબીબો પણ ભારતમાં આ કામ કરી શકશે.
વધુમાં જણાવાયું હતું કે, તેઓની નિમણૂંક ૯૦ દિવસ માટે રહેશે અને તે દરમિયાન તેઓને માસિક રૂ.૧૫,૦૦૦ મહેનતાણું પણ આપવામાં આવશે. ૯૦ દિવસના આ ગાળા બાદ તેમની ફરજ આપોઆપ પૂર્ણ થયેલી ગણાશે. ગુજરાતમાં આવાં અંદાજે ૨૦૦૦ જેટલાં કે તેથી વધુ તબીબો છે જેઓએ વિદેશી યુનિવર્સિટીમાંથી તબીબી ડીગ્રી હાંસલ કરી છે પરંતુ ભારતમાં પ્રેક્ટિસ કરી શકે તેમ નથી.