મહેસાણાઃ જિલ્લામાં તમામ તાલુકા અને મોટા ભાગના ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એવામાં જિલ્લાનું એક માત્ર એવું ગામ છે, જ્યાં હજુ સુધી ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મહત્વની વાત એ છેકે હજી ઘણા વેક્સિનને લઇને જાગૃત નથી ત્યાં આ ગામના તમામ વડીલોએ વેક્સિનના બન્ને ડોઝ પૂર્ણ કર્યા છે.
મહેસાણાથી ૪૫ કિલોમીટર દૂર આવેલા છેવાડાનું ચાંદણકી ગામ બેચરાજી તાલુકા આવેલું છે. આ નાનકડા ગામની અંદર હજુ કોરોનાએ પ્રવેશ કર્યો નથી. ચાંદણકી ગામની આજુબાજુમાં આવેલા મોટા ભાગના ગામડાઓમાં ૪૦% જેટલું કોરોના સંક્રમણ ૭૦% થઇ ચૂક્યું છે. તેમજ આજુબાજુના ગામડાઓમાં અનેક લોકો મોતને ભેટી ચુક્યા છે જ્યારે આ ચાંદણકી ગામમાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગામની અંદર મોટા ભાગના પરિવારો પોતાના ધંધા રોજગાર માટે ગામના યુવાનો વિદેશ અને અન્ય રાજ્યમાં સ્થાઇ થયા છે, ત્યારે આ ગામની અંદર કોઈ પણ યુવાન બાળક, જોવા મળતું નથી પરંતુ ગામની અંદર દરેક ઘરમાં ૭૦થી વધુ ઉમરના વૃદ્ધ વસવાટ રહ્યા છે. તેમજ ૩૬૫ દિવસ ગામના તમામ વૃદ્ધો એક જ રસોડે સમૂહ ભોજન લે છે. ગામમાં દરેક ઘરમાં માત્રને માત્ર વૃદ્ધો જ નજરે પડતા જોવા મળે છે. નાનકડું ગામ હોવા છતાં અહીંના રહીશો કોરોના ગાઈડલાઈનની સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યા છે.