હવે સિંહો પર મંડરાતો કોરોનાનો ખતરો: અગાઉ સિંહોમાં જોવા મળી આવેલા સીડીવીના લક્ષણો કોરોના જેવા જ

Wednesday 12th May 2021 06:49 EDT
 
 

ધારી: કોરોનાની મહામારી રાજય સહિત દેશભરમાં વર્તાઈ રહી છે. હવે આ વાયરસનો ખતરો પ્રાણીમાં પણ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદમાં કોરોનાના લક્ષણો સિંહમાં દેખાયા હતા. ત્યારે સૌથી વધુ સિંહની વસ્તી ધરાવતા ગીર જંગલમાં વસતા સિંહો પર પણ કોરોનાનો ખતરો મંડાઈ રહ્યો છે. કારણ કે થોડા દિવસ પહેલા જ સાવરકુંડલા રેન્જમાં એક કોરોનાગ્રસ્ત બિટ ગાર્ડ સિંહોનું અવલોકન કર્યું હતું. આ અંગે તંત્રની બેદરકારી પણ સામે આવી હતી. જેથી સિંહોને કોરોનાથી બચાવવા માટે સેવ લાયન સંસ્થા દ્વારા મુખ્યપ્રધાન, વનપ્રધાન સહિતનાને રજૂઆત કરવામાં આવી છે.
સને ૨૦૧૮માં દલખાણીયા રેન્જ હેઠળના સિંહોમાં સી.ડી.વી (કેનાઈન ડીસટેમપર વાયરસ) દેખાયો હતો. જેમાં ૩૦થી વધુ સિંહો મૃત્યુ પામ્યા હતા અને આખી રેન્જના સિંહોને રેસ્કયુ કરી બીજા સિંહોથી અલગ કરાયા હતા. ત્યારે વનતંત્રએ સી.ડી.વી હવે સમાપ્ત થયાના દાવા કર્યા હતા. પરંતુ ૨૦૧૯ના અંત અને ૨૦૨૦ની શરૂઆતમાં ફરી આ વાયરસ ગીરના સિંહોમાં દેખાયો હતો. આમ સી.ડી.વી. સંપુર્ણ સમાપ્ત થયો નહોતો જેવી રીતે કોરોનાની બીજી લહેર આવી તેમ સી.ડી.વી.ની પણ આવી હતી તેમજ જે લક્ષણો સી.ડી.વી.ના હતા તેવા જ લક્ષણો કોરોનાના પણ છે.

કોરોનાગ્રસ્ત બીટગાર્ડે સિંહોનું અવલોકન કર્યું!

ધારી ગીર પુર્વની સાવરકુંડલા રેન્જના મિતિયાળા સેન્ચુરી વિસ્તારમાં મિતિયાળા બીટના બીટગાર્ડને કોરોના થતા હોમ આઈસોલેટ થયો હતો. તેમ છતાં તેના દ્વારા પોતાની બીટમાં ફેરણુ કરી સિંહનું અવલોકન કર્યું હતું તથા સિંહોના ફોટા પાડી સિંહ લોકેશન કરી કચેરીએ મોકલાવ્યા હતા અને છેલ્લા આઠ દિવસથી આ કામગીરી બેરોકટોક ચાલતી હતી. જેનાથી અહીં વસવાટ કરતા સિંહો પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીને હોવા છતાં બીટગાર્ડે બેફામ રીતે સિંહને કોરોનાનો ચેપ લાગે તેવું ગુનાહીત કૃત્યો કરતો રહ્યો હતો. આખરે સમગ્ર મામલો બહાર આવતા આ બીટગાર્ડને તાત્કાલીક અસરથી અન્યત્ર ખસેડવામાં આવ્યો હતો. ત્યારે વન્યપ્રાણી અને માનવ જીંદગી પર જોખમ ઉભું કરનાર આ બીટગાર્ડ પર વનવિભાગ અને પોલીસ વિભાગ કોઈ કાર્યવાહી કરશે કે કેમ? તે મસમોટો સવાલ છે. ત્યારે હાલ તો અહિં વસવાટ કરતા સિંહોનું તાત્કાલીક અસરથી મેડીકલ ચેકઅપ થાય તેવી માંગ વન્યપ્રાણી પ્રેમીઓ કરી રહ્યા છે.


comments powered by Disqus