અષાઢી બીજની વર્ષો જૂની પરંપરાઃ ઘૂંટુ ગામ ફરતે બંધાય છે સૂતરની દોરી

Wednesday 14th July 2021 07:04 EDT
 
 

મોરબીઃ ભારત એ ગામડામાં વસતો દેશ છે જ્યાં સંસ્કૃતિ, આતિથ્યભાવ અને ધાર્મિકભાવનો ત્રિવેણી સતત વહ્યા કરે છે. અહીં ગામડાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે. આવી જ એક પરંપરાને મોરબી નજીકના ઘૂંટુ ગામે ચાલી આવે છે. જેમાં અષાઢી બીજ નિમિત્તે આખા ગામ ફરતે સૂતરના દોરા વિંટાળવામાં આવે છે.
અષાઢી બીજનું આપણે ત્યાં વિશેષ મહત્ત્વ રહ્યું છે. આ દિવસે વરસાદ થતાની સાથે જ લાપશીના આંધણ મૂકાય છે અને ખેડૂત વાવણી કાર્યમાં લાગી જાય છે. ત્યારે અષાઢી બીજે ઘૂંટુ ગામમાં અનોખી ઊજવણી કરાય છે. મોરબીથી ઘૂંટુ આવવા નીકળીએ તો ટેકરા પર વસેલું એક ગામ દેખાય, જેનો ઈતિહાસ સાથે નાતો રહ્યો છે. ઈતિહાસવિદ્દ નરોત્તમ પલાણ કહે છે કે એક સમયે આ પુરાતન સ્થળે ૨૦૦ રજવાડાં એકઠાં થયેલાં. પહેલાના જમાનામાં જ્યારે કોઈ ગામ કે નગરનું તોરણ બંધાય ત્યારે ખીલો ધરબવાની એક પરંપરા રહી છે. ઘૂંટું ગામે દાયકાઓથી આ પરંપરાને જાળવી રાખી છે. આ પરંપરા પાછળ પણ એક અગત્યનું કારણ છે. ગામ સુરક્ષિત રહે, કોઈ આપત્તિ ન આવે અને લોકો ખુશમિજાજ રહે એવા હેતુસર અષાઢી બીજના દિવસે આખા ગામ ફરતે સૂતરના દોરા વિંટાળવામાં આવે છે તેમજ વચ્ચે આવતા નાકા અને દરવાજા પાસે ખીલો પણ ધરબાય છે. ગામ ફરતે દોરો વિંટાળવાની કામગીરી એક કલાક સુધી ચાલે છે અને લોકો સ્વયંભૂ એમાં જોડાય છે. જ્યારે આ કામગીરી ચાલતી હોય છે ત્યારે ઢોલ, નગારા, ડાક અને તલવાર સાથે રાખી પરિક્રમા કરાય છે ત્યારબાદ હનુમાનજીને લાડુ ધરવામાં આવે છે.
આ ગામ ફરતે દોરો વિંટાળવાની પરંપરા ઘૂટું ઉપરાંત હળવદ આસપાસના ગામોમાં પણ જોવા મળે છે. તેમજ કચ્છના જાંબુડા ખાતે પણ આવા દ્રશ્યો જોવા મળે છે.


comments powered by Disqus