કેવડિયામાં ૧.૨ની તિવ્રતાનો ભૂકંપ: કેન્દ્ર બિંદુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ૫૦ કિ.મી. દૂર

Wednesday 14th July 2021 06:49 EDT
 
 

વડોદરાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે ૧.૨ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નર્મદા ડેમથી માત્ર ૫૦ કિ.મી. નોંધાયુ હતું. જોકે, નર્મદા ડેમને કોઇ ખતરો નથી, કારણ કે, નર્મદા ડેમ ૬.૫ના ભૂકંપમાં પણ સુરક્ષિત છે.
ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે ૮ જૂલાઈની સવારે ૧૧:૦૯ કલાકે કેવડિયામાં ૧.૨ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-નર્મદા ડેમથી માત્ર ૫૦ કિમી દૂર હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૧.૨ નોંધાઇ હતી અને ભૂકંપની ડેપ્થ ૧૮.૧ કિ.મી.ની હોવાનું જાણવા મળ્યું છે. સરદાર સરોવર ડેમની ડિઝાઈન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્રીટ્યુડ અનુસાર ૬.૫ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી ૧૨ કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે તે રીતે કરવામાં આવેલ છે. આમ ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કોઈપણ પ્રકારની વિપરિત અસર અનુભવાઈ નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપર ૬.૫ની તીવ્રતાના ભૂકંપ તથા કલાકના ૨૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહીં થાય. પ્રતિમાના નિર્માણમાં ૮૫ ટકા તાંબાનો ઉપયોગ કરાયો હોવાથી હજારો વર્ષો સુધી કાટ નહીં લાગે.
ભરૂચ-નર્મદામાં ૫૦ વર્ષમાં ૨૨થી વધુ વખત ભૂકંપ
ભરૂચમાં ૨૩ માર્ચ ૧૯૭૦ના રોજ આવેલાં ભૂકંપની તીવ્રતા ૫.૪ રીકટર સ્કેલની હતી. જે અત્યાર સુધીમાં સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે. ભરૂચ, આમોદ, નેત્રંગ, આમોદ અને નબીપુર ૫૦ વર્ષમાં ભૂકંપના આંચકાના એપી સેન્ટર રહી ચુક્યા છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો ૨૦ ઓકટોબર ૧૯૮૦માં કેવડિયામાં ૨.૬ રીકટર સ્કેલ તથા ૯મી જુલાઇ ૧૯૭૯ માં રાજપીપળા ખાતે ૨.૬ રીકટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. ભરૂચ-નર્મદામાં ૫૦ વર્ષમાં ૨૨થી વધુ વખત ભૂકંપ આવી ચુક્યો છે.


comments powered by Disqus