દેશભરમાં ફિદાઈન હુમલાનું કાવતરુંઃ બે આતંકીઓની ધરપકડ

Wednesday 14th July 2021 07:33 EDT
 
 

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના લખનઉમાં એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશ એટીએસ અને કમાન્ડોએ આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહેલા બે આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓ ગજવાતુલ હિન્દ સાથે સંકળાયેલા છે. પકડાયેલા આતંકીઓના નામ મસરુદ્દીન અને મિનહાજ અહેમદ છે. તેમની પાસેથી વ્યાપક પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા છે. આતંકીઓની પૂછપરછમાં પાકિસ્તાની કનેક્શન પણ બહાર આવ્યું છે.
ઉત્તર પ્રદેશ એટીએસે ૧૧ જૂલાઈના લખનઉમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સીતે વિહાર કોલોની વિસ્તારમાં ગુપ્ત રીતે આતંકીઓના છુપાવાના સ્થળને ઘેરી લીધું હતું. ત્રણ ઘરોમાં દરોડો પાડીને બે આતંકીઓને ઝડપી લેવાયા હતા. આતંકીઓને પકડવા માટેનું આ ઓપરેશન લગભગ પાંચ કલાક સુધી ચાલ્યું હતું. પકડાયેલા આતંકવાદીઓને પાકિસ્તાનથી હેન્ડલ કરવામાં આવી રહ્યા હતા. હેન્ડલરનું નામ અલ જૈદી છે, જેણે દેશના અનેક શહેરોમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી. આતંકવાદીઓ પાસેથી બે પ્રેશર કૂકર બોમ્બ, અડધો બનાવેલા બોમ્બ સાથે સાતથી આઠ કિલો વિસ્ફટકો, અનેક પિસ્તોલ તથા અન્ય પ્રતિબંધિત સામાન જપ્ત કરાયો છે. ત્રણ દિવસમાં લખનઉમાં એક સાંસદ સાથે અન્ય ભાજપ નેતાઓને બોમ્બ વિસ્ફોટમાં ઉડાવવાની તેમની યોજના હતી. વધુમાં આ આતંકીઓએ કાનપુર સહિત અન્ય વિસ્તારોને પણ નિશાન બનાવ્યા હતા. એટીએસની આ કાર્યવાહીમાં કેટલાક બોમ્બ અને અન્ય શસ્ત્રો મળ્યા છે.
દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં એનઆઈએએ કાશ્મીરમાં ટેરર ફન્ડિંગ કેસમાં અનંતનાગમાં ચાર જગ્યા અને શ્રીનગરમાં એક જગ્યાએ દરોડા પાડયા હતા અને છ લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન પશ્ચિમ બંગાળમાં દક્ષિણ કોલકાતાના હરીદેવપુર વિસ્તારમાંથી પોલીસે ત્રણ શકમંદ આતંકીઓની ધરપકડ કરી હતી.ત્રણેય શકમંદો જમાત-ઉદ-મુજાહિદ્દિન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

અલ જવાહિરીએ ભારતમાં અલ-કાયદાનું મોડયુલ ઊભું કર્યું

લખનઉમાં બે આતંકીઓની પૂછપરછમાંથી અનેક મોટા ખુલાસા થયા છે. અલકાયદા એક સુન્ની ઈસ્લામીક આતંકી સંગઠન છે, જે અનેક દેશોમાં ફેલાયેલું છે. ૨૦૧૪માં અલકાયદાના તત્કાલીન ચીફ અલજવાહીરીએ ઈન્ડિયન સબ કોન્ટીનેન્ટન મોડ્યુલની જાહેરાત કરી હતી.
આ મોડયુલના ચીફ મૌલાના અસીમ ઉમરને બનાવાયો હતો. હલમંડીએ જ લખનઉમાં જેહાદી પ્રવૃત્તિ માટે કેટલાક લોકોની ભરતી કરી હતી. આ મોડ્યુલ અંસાર ગજવાતુલ હિન્દ અલકાયદાને આતંકી હુમલા માટે તૈયાર કરાયું છે.

લખનઉમાંથી પકડાયેલા આતંકીઓએ રામમંદિરની રેકી કરી હોવાનો ઘટસ્ફોટ

અલકાયદાના આતંકી મિનરાજ અહમદ અને મસીરૂદ્દીન ઉર્ફે મુશીરને એટીએસે ૧૪ દિવસના રિમાન્ડ પર લીધા છે. આઈબીના રિપોર્ટ મુજબ રામમંદિર પર ચુકાદો આવ્યા બાદથી જ આ લોકો સિરિયલ બ્લાસ્ટનું ષડયંત્ર રચી રહ્યાં હતાં અને આ માટે જ અલકાયદાનું આ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું હતું.

હિઝબુલનો ટોચનો કમાન્ડર મેહરાજુદ્દીન ઠાર મરાયો

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૭ જુલાઈ સરવારે એક ખૂંખાર ત્રાસવાદીને ઠાર માર્યો હતો. કુપવાડાના હંદવાડા જિલ્લામાં સર્જાયેલી અથડામણમાં સુરક્ષાદળોનએ હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર મહેરાજુદ્દીન ઉર્ફે ઉબૈદને ઠાર માર્યો હતો.
મેહરાજુદ્દીન હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના સમયથી ત્રાસવાદી બનેલો છે. મહેરાજુદ્દીન ઉત્તર કાશ્મીર પ્રદેશનો જૂનામાં જૂના સમયનો હિઝબુલ કમાન્ડર હતો.


comments powered by Disqus