ધર્મ-સંસ્કૃતિના ઉત્કર્ષમાં દયાળ મુનિનું જીવન સમાજ માટે પ્રેરણાસ્ત્રોતઃ રાજ્યપાલ

Wednesday 14th July 2021 07:09 EDT
 
 

અમદાવાદ-ટંકારા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈદિક ધર્મ-સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા અને આયુર્વેદ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન આપવા બદલ ટંકારાના દયાળ ઉર્ફે દયાળ મુનિનું સન્માન કરી ગુજરાત રાજભવન તરફથી રૂ. બે લાખની ધનરાશીનો ચેક અર્પણ કર્યો હતો. સંસ્કૃત સાહિત્ય આકાદમીના ‘સાહિત્ય ગૌરવ સન્માન- ૨૦૨૦’ થી દયાલ મુનિનું સન્માન કર્યું હતું. રાજ્યપાલે જણાવ્યું હતું કે ધર્મ-સંસ્કૃતિના ઉત્કર્ષમાં દયાળ મુનિનું જીવન સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે.
કાર્યક્રમની શરૂઆત આર્ય સમાજના આર્યવીરો દ્વારા યજ્ઞથી કરવામાં આવી હતી. સંસ્કૃત સાહિત્ય અકાદમીના પ્રમુખ વિષ્ણુભાઇ પંડયા દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રો.દયાળ મુનિને અર્પણ કરાયો હતો. સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા રૂપિયા એક લાખ તથા રાજ્યપાલ દ્વારા રૂ. બે લાખ પુરસ્કાર પેટે આપવામાં આવ્યા હતાં. દયાળજીભાઇએ પોતાને મળેલા ત્રણ લાખ રૂપિયાનો આર્થિક સહયોગ એમાં પોતાના બે લાખ રૂપિયા ઉમેરી કુલ પાંચ લાખ રૂપિયાનું દાન આયું સમાજ ત્રણ હાટડી શેરી ટંકારાને અર્પણ કરી છે.
મોરબી જિલ્લાના ટંકારા ખાતે ગરીબ દરજી પરિવારમાં જન્મેલા દયાળ મુનિએ (હાલ ઉંમર ૮૫ વર્ષ) જીવન દરમિયાન ખૂબ સંઘર્ષ કરી આપબળે આગળ આવ્યા છે. ચાર વેદનું સંસ્કૃતમાંથી ૨૦૩૯૭ મંત્રોનો ગુજરાતીમાં અનુવાદ કરી ૮ પુસ્તક તૈયાર કરવાનું કાર્ય તેમણે કર્યું છે. જેમાં ઋગ્વેદના ચાર ખંડના ૧૦૫૫૨ મંત્ર, યજુર્વેદના ૧૯૭૫ મંત્ર, સામવેદના ૧૮૭૫ મંત્ર, અથર્વવેદના બે ખંડના ૫૯૭૭ મંત્રનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેઓ એક મહાન ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શિક્ષક, શોધકર્તા, લેખક, સંપાદક, અનુવાદક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ જેવી બહુઆયામી ભૂમિકા સફળતાપૂર્વક ભજવી વિરલ વિભૂતી તરીકે ઉભરી આવ્યા છે.
તેમણે આયુર્વેદ સાહિત્ય પર વ્યાખ્યા, જેમ કે ચરક, સુશ્રૃત, માધવ નિદાન પર ૧૮ પુસ્તકો તૈયાર કર્યા છે. જે બીએએમએસના વિદ્યાર્થીઓને ટેક્સ્ટબૂક અને સંદર્ભ પુસ્તિકા તરીકે ઉપયોગી થઈ રહી છે. આયુર્વેદ પર સંશોધનપત્રો અને લેખો તૈયાર કર્યા છે. મહાભારતથી મહર્ષિ દયાનંદ, સત્યાર્થ પ્રકાશની તેજ ધરા વગેરે પુસ્તકો લખ્યા છે. છેલ્લા રપ વર્ષથી ટંકારા આયુર્વેદિક કિલનિકમાં હજારો દર્દીઓનો સંપૂર્ણ નિ:શુલ્ક ઈલાજ કર્યો છે.
તેઓનો આર્ય આર્યુવેદે ચુડામણી એવોર્ડ રાજ્યપાલની નવલ કિશોરી શર્માના હસ્તે ૨૦૦૮ મળ્યો છે. ૭૫ વર્ષ ઉંમરે વાનપ્રસ્થ સ્વીકારતા પ્રો. દયાળ મુનિ નવું નામ ધારણ કર્યું છે.


comments powered by Disqus