વડોદરા: શહેરની ડાયમંડ પાવર કંપનીના પ્રમોટર્સ એવા બેંક કૌભાંડી ભટનાગર બંધુઓને ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ દ્વારા બેંક ઓફ ઇન્ડિયાના બાકી નીકળતા રૂ. ૯૦૯ કરોડ ભરપાઈ કરવા માટે જાહેર નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે.
અમદાવાદ સ્થિત ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ – ૨ દ્વારા ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. vs બેન્ક ઓફ ઇન્ડિયા કેસમાં ડિમાન્ડ નોટિસ ઈશ્યુ કરાઈ છે. નોટિસમાં અમિત સુરેશ ભટનાગર, સુમિત સુરેશ ભટનાગર અને સુરેશ એન. ભટનાગરને બેંક ઓફ ઇન્ડિયાના બાકી નીકળતા રૂ. ૯૦૯.૬૯ કરોડ ઉપરાંત વ્યાજના રૂ. ૧.૭૫ લાખ ૧૫ દિવસમાં ભરપાઈ કરવા માટે જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ભટનાગર બંધુઓએ અનેક બેંકોમાંથી લોન લઈને રૂ. ૨,૬૫૪ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. આ કેસમાં ED અને CBI પણ તપાસ કરી ચૂકી છે અને હાલમાં સરકારી ટેક્સ વિભાગોથી લઈને બેંકોની બાકી નીકળતા નાણાં વસુલવાની પ્રક્રિયા ચાલી રહી છે.