નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩ જૂલાઈના પૂર્વોત્તરનાં રાજ્યોમાં કોરોનાની સ્થિત પર ચર્ચા કરી. આ દરમિયાન આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગલેન્ડના મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા. મોદીએ તેમને કહ્યું હતું કે હિલ સ્ટેશન, માર્કેટમાં માસ્ક પહેર્યા વગર અને પ્રોટોકોલ વગર ભારે ભીડ એકત્રિત થાય એ યોગ્ય નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો જાહેરમાં કહે છે કે ત્રીજી લહેર આવતાં પહેલાં એન્જોય કરવા માગે છે. લોકોએ સમજવું પડશે કે ત્રીજી લહેર એની જાતે નહિ આવે. સવાલ થવો જોઈએ કે એને કઈ રીતે રોકી શકાય? પ્રોટોકોલનું કઈ રીતે પાલન કરવાનું છે? કોરોના એની જાતે આવતો નથી, કોઈ જઈને લઈ આવે તો જ આવે છે. આપણે સાવધાની રાખીશું તો જ એને રોકી શકીશું.
થર્ડ વેવ તો ૪થી જુલાઈથી જ આરંભાઈ ગયો છેઃ ટોચના વિજ્ઞાનીનો દાવો
હૈદરાબાદ યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર રહેલા શ્રીવાસ્તવે કહ્યું કે, ૪ જુલાઇથી કોરોના સંક્રમણના નવા કેસ અને મૃત્યુ સૂચવે છે કે દેશમાં ત્રીજી લહરે આવી ગઈ છે. આ ટ્રેંડ ફેબ્રુઆરી ૨૦૨૧ના પહેલા અઠવાડિયા જેવો જ છે. ત્યારે કોરોનાની બીજી લહેરે દેશમાં શરૂઆત કરી હતી. તે એપ્રિલમાં ટોચ પર પહોંચી ગઈ હતી. શ્રીવાસ્તવે ચેતવણી આપી છે કે જો લોકો કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો ત્રીજી લહેર વેગ પકડશે. ત્રીજી લહેરને નિયંત્રણમાં રાખવા માટે, લોકોએ સામાજિક અંતર, સેનિટાઈઝેશન, માસ્ક પહેરવું અને રસીકરણ જેવા પ્રોટોકોલનું પાલન કરવું પડશે. શ્રીવાસ્તવે વેવ પેટર્નને બનાવવા માટે છેલ્લા ૪૬૧ દિવસના ડેટાનો ઉપયોગ કર્યો હતો. કોરોનાથી મૃત્યુના ૪૬૧ દિવસના ડેટાના વિશ્લેષણના આધારે, ડો. શ્રીવાસ્તવે ત્રણ મેટ્રિક્સ તૈયાર કર્યા છે. આ મેટ્રિક્સમાંથી એક સૂચવે છે કે કોરોનાની ત્રીજી લહેર ૪ જુલાઈએ જ આવી ગઈ છે. તેમણે આ મેટ્રિક્સનું નામ કોવિડ-૧૯ના ડેઇલી ડેથ લોડ (ડીડીએલ) રાખ્યું છે. તેણે દર ૨૪ કલાકમાં ડીડીએલને કેક્યુલેટ કર્યું. આપણે બે ધ્યાન હતા અને એપ્રિલ સુધીમાં તો સેકન્ડ વેવ પરાકાષ્ઠાએ પહોંચી અંધાધૂંધી સર્જી ગયો.
કોરોનાની બીજી લહેર હજુ સમાપ્ત થઈ નથી ટૂરિસ્ટ્સની ભીડ મોટી ચિંતાનું કારણઃ સરકાર
મસૂરીમાં કેમ્પટી ધોધ ખાતે ઉમટેલા પ્રવાસીઓનાં ટોળાના વીડિયો રજૂ કરી કેન્દ્રીયઆરોગ્ય સચિવ લવકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના સેકન્ડ વેવનો અંત આવ્યો નથી. આપણે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી શકીએ નહીં. આ રીતે આપણે મોટી સંખ્યામાં એકઠાં થઈને કોરોના વાઇરસને આમંત્રણ આપી રહ્યાં નથી? અગ્રવાલે જણાવ્યું હતુ કે, યૂરો કપના કારણે બ્રિટનમાં કોરોના સંક્રમણમાં તોતિંગ વધારો થયો છે. રશિયા, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં પણ સંક્રમણ બેફામ બની રહ્યું છે.