ગાંધીનગર: એપ્રિલમાં કોરોનાની બીજી લહેરની ઘાતક અસરો ચરમસીમાએ પહોંચી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની સામાન્ય ચૂંટણીના છેલ્લા બન્ને તબક્કામાં ચૂંટણી પ્રચાર અટકાવી દીધા પછી પહેલી વખત ગુજરાતથી પોતાની જાહેર યાત્રાનો આરંભ કરી શકે છે. જોકે, આ પહેલાં પોતાના લોકસભા મતવિસ્તાર વારાણસીની મુલાકાતે જઇ શકે એવી સંભાવના છે. વડાપ્રધાન મોદી સોમનાથ દાદા અને મતવિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત અવારનવાર લેતાં હોય છે. કોરોનાની બીજી લહેરની સ્થિતિ હવે દેશમાં કાબૂમાં આવી રહી છે
ત્યારે શક્ય છે કે વડાપ્રધાન પોતાના મતવિસ્તાર જઇ ભગવાન શંકરની પૂજન અર્ચન કરી શકે છે.
દેશના વડાપ્રધાન અને તત્કાલિન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટીમાં કેટલાક ફ્યુચરિસ્ટીક પ્રોજેક્ટ્સ મારફતે બાળકોમાં વિજ્ઞાન અને એના સંશોધનોમાં રૂચી કેળવાય એના પર હંમેશા ભાર મૂક્યો હતો. હાલ સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, નેચર પાર્ક સહિતના વિશેષ પ્રકલ્પો તૈયાર કરાયા છે.
એક્વાટિક ગેલરીમાં ૧૩૦૦ પ્રકારના જળચર પ્રાણીઓ છે અને દેશની પહેલી આવી ગેલરી છે જે ૧૬ જુલાઇના રોજ વડાપ્રધાનના હસ્તે ખુલ્લી મુકાશે. અહીં એક રોબોટિક ગેલરી તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત એક વિશાળ નેચર પાર્ક પણ ઊભો કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે એની ઉપર એક અદ્યતન અને સાત તારક હોટલના નિર્માણ માટેનો પ્રકલ્પ મંજૂર કર્યો હતો.
રેલવે સ્ટેશનના વિકાસ સાથે એની ઉપર જ સાત માળની ચાર પ્રેસિડેન્ટ સ્યુટ સાથેની હોટલનું રૂ.૩૩૦ કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. આ હોટલમાંથી સેન્ટ્રલ વિસ્ટા નિહાળી શકાય છે. એનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન કરશે.