• ઉત્તરપ્રદેશ બ્લોક પ્રમુખ ચૂંટણીમાં કુલ ૮૨૫ બેઠકો પૈકી ૬૪૦થી વધુ પર ભગવો લહેરાયોઃ ઉત્તરપ્રદેશ બ્લોક પ્રમુખની ચૂંટણીમાં કુલ ૮૨૫ બેઠકો પૈકી ૬૪૦થી વધુ પર ભાજપનો કબજો થઇ ગયો છે. ઉત્તરપ્રદેશ બ્લોક પ્રમુખ ચૂંટણીમાં કુલ ૮૨૫ બેઠકો પૈકી ૩૪૯ બેઠક પર ઉમેદવારો બિન હરીફ ચૂંટાઇ આવ્યા હતા. જે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા તેમાં ૩૩૪ થી વધુ ભાજપના ઉમેદવારો હતા. બાકીની ૪૭૬ બેઠક માટે ૧૦ જૂલાઈના મતદાન યોજાયું હતું.
• દિલ્હીમાંથી રૂ. ૨૫૦૦ કરોડનું હેરોઈન ઝડપાયુંઃ પોલિસના સ્પેશિયલ સેલ દ્વારા ફરિદાબાદ ખાતે પાડવામાં આવેલા એક દરોડામાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના પર્દાફાશ સાથે અત્યાર સુધીનો સોથી મોટો ૩૫૪ કિલો ડ્રગનો જથ્થો હાથ લાગ્યો હતો, જેની કિંમત રૂ. ૨૫૦૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. આ ડ્રગ રેકેટના તાર અફઘાનિસ્તાન અને યુરોપ સુધી ફેલાયેલા હતા. પકડાયેલા ચાર આરોપીઓમાં એક અફઘાનિસ્તાન, એક અનંતનાગ-કાશ્મીર અને બે પંજાબના છે.
• ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં યોગી સરકારે વસતી નિયંત્રણ નીતિ ઘડીઃ ચૂંટણી પહેલા યુપીની યોગી સરકાર વસતી નિયંત્રણ નીતિ લાગુ કરવા જઇ રહી છે. તેનો ડ્રાફ્ટ થોડો આસામ જેવો જ છે પણ તેમાં કડકાઇ અને રાહત બંને સામેલ કરાયા છે. નવી નીતિમાં ૩ મુદ્દા પર ફોક્સ છે. પ્રથમ- રાહત. એટલે કે જે કર્મચારી નસબંધી કરાવશે તેમને વિશેષ ઇન્ક્રીમેન્ટ મળશે. બીજો-કડકાઇ. નીતિ લાગુ થયા બાદ જે સરકારી કર્મચારીઓ-લોકપ્રતિનિધીઓને ત્રીજા સંતાન હતાં તેમને બરતરફ કરાશે. ત્રીજો- જેમનાં પહેલાંથી બેથી વધુ સંતાન છે. તેમના પર નવી નીતિથી અસર નહીં થાય. પરંતુ જે લોકો નવી નીતિ પછી સસ્તું રેશન, સબસિડી જેવી તમામ સરકારી મદદ મળશે નહીં. નવી નીતિમાં એકથી વધુ લગ્ન કરનારા માટે પણ જોગવાઇ સ્પષ્ટ કરવામાં આવી છે. એક વ્યક્તિને એકથી વધુ પત્ની હોય પણ બાળકો બેથી વધુ હોવા જોઇએ નહીં. જો તેમ થશે તો તમામ મદદ પાછી ખેંચી લેવાશે.
• રવિશંકર પ્રસાદ અને જાવડેકરને સંગઠનમાં પદ મળે તેવી શક્યતાઃ કેન્દ્રીય કેબિનેટમાં દૂર થયેલા ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને ભાજપ સંગઠનમાં મહત્વનું પદ અને જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે. બન્ને નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અથવા મહાસચિવ બનાવી આગામી વિધાનસભા ચૂંટણીઓની જવાબદારી આપવામાં આવશે તેવી ચર્ચા અત્યારે રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
• કાશ્મીરમાં ૨૦૧૧ની વસતી ગણતરીના આધારે સીમાંકનઃ જમ્મુ-કાશ્મીરમાં ૪ દિવસના પ્રવાસના છેલ્લા દિવસે સીમાંકન પંચે અનેક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્વાએ કહ્યું કે સીમાંકન ૨૦૧૧ની વસ્તીગણતરીના આધારે કરાશે. તેનાથી વિધાનસભાની ૭ બેઠકો પણ વધી જશે. આગામી વર્ષના માર્ચે સુધી સીમાંકન પુરું કરી લેવાશે.
• ભારતનું વિદેશ હુંડિયામણ ૧.૦૧૩ અબજ ડોલર વધીને ૬૧૦.૦૧૨ અબજ ડોલરની વિક્રમી સપાટીએઃ રિઝર્વ બેન્કની માહિતી મુજબ બીજી જુલાઈના રોજ પુરા થતા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણના ભમડારો ૧.૦૧૩ અબજ ડોલર વધીને ૬૧૦.૦૧૨ અબજ ડોલરની વિક્રમી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા હતા. બીજી જુલાઈએ પૂરા થતાં સપ્તાહમાં વિદેશી હૂંડિયામણમાં થયેલો વધારો મહંદઅંશે ફોરેન કરન્સી એસેટ્સ (એફસીએ)માં થયેલા વધારાને કારણે નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન એફસીએ ૭૪.૮ લાખ ડોલર વધીને ૫૬૬.૯૮૮ અબજ ડોલરની સપાટીએ પહોંચતા વિદેશી હૂંડિયામણમાં પણ વધારો થયો હતો.
• યુનિફોર્મ સિવિલ કોડને દિલ્હી હાઇકોર્ટનું સમર્થનઃ દિલ્હી હાઇકોર્ટે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક ધારો)ની જરૂરિયાતને સમર્થન આપતાં કેન્દ્ર સરકારને આ મામલામાં જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. મીણા સમુદાયના પક્ષકારોને સંબંધિત મામલામાં હિંદુ મેરેજ એક્ટ ૧૯૫૫ના અમલીકરણને સાંકળતી અરજી પર આપેલા ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ પ્રતિભા.એમ. સિંહે નોંધ્યું હતું કે, આધુનિક ભારતીય સમાજ ધર્મ, સમુદાય અને જાતિના પરંપરાગત બંધનો ફગાવીને એકસમાન બની રહ્યાં છે તેથી યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી બની જાય છે.
• હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્રસિંહનું ૮૭ વર્ષની ઉંમરે નિધનઃ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ નેતા વીરભદ્રસિંહનું ૮૭ વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. વીરભદ્રસિંહે ૮ જૂલાઈની સવારે ૩.૪૦ વાગ્યે સિમલાના ઇંદિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓએ બે વખત કોરોનાને હરાવ્યો હતો અને છેલ્લા બે મહિનાથી ખરાબ તબિયતના પગલે તેઓ હોસ્પિટલમાં ભરતી હતા, પરંતુ છેલ્લા બે દિવસોથી તેમને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. વીરભદ્રસિંહ ૬ વખત હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા. તેઓ ૯ વખત ધારાસભ્યપદે અને પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.