રાજકોટઃ સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યા છે. પોતાને ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર માનનાર રમેશચંદ્ર હાલ રાજકોટની અર્ક-બંસરી સોસાયટીમાં રહે છે. તેમણે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખી ફરી વિવાદમાં આવ્યા છે. પત્રમાં લખ્યું છે કે, મારો એક વર્ષનો બાકી રહેતો ૧૬ લાખ પગાર અને ૧૬ લાખ ગ્રેચ્યુટી આપો નહીંતર વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પાડીશ, હું જ ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છું.
રમેશચંદ્રએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, હું કલ્કી અવતાર જ છું અને મારી તપશ્ચર્યાને હિસાબે જ છેલ્લા ૨૦ વર્ષથી સતત સારા વરસાદ ભારતમાં થયા છે. એક પણ વર્ષમાં સમગ્ર દેશમાં દુષ્કાળ પડ્યો નથી. જેના લીધે હિન્દુસ્તાનને ૨૦ લાખ કરોડનો ફાયદો થયો છે. તેમ છતાં મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આથી આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં વરસાદ અને બરફ વરસાદનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે, હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું. અને સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોકમાં ચાલે.
સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા રમેશચંદ્ર ફેફર ત્રણ વર્ષ પહેલા ૮ મહિનામાં માત્ર ૧૬દિવસ જ ફરજ પર હાજર રહ્યા હતા. આથી તેમને અપાયેલી કારણદર્શક નોટિસમાં તેમણે પોતાની જાતને વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર કલ્કી ગણાવ્યો હતો. એટલું જ નહીં તેમણે બફાટ કરતા નરેન્દ્ર મોદીને દુર્યોધનનો અવતાર ગણાવ્યો હતો. ફરજ દરમિયાન છ વખત VRS માટે અરજી કરનાર રમેશચંદ્ર ફેફરની અરજી નિગમે સ્વીકારી નહોતી.