અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રી સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગત તા.૧૪ જૂનના એક દિવસના ગુજરાત પ્રવાસે હતા. દરમિયાન તેઓએ અમદાવાદ ખાતે એવી જાહેરાત કરી હતી કે, તેમની આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાનીની સામાન્ય ચૂંટણીમાં રાજ્યની તમામ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે.
તેમણે એમ પણ જણાવ્યં હતું કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં ગઠબંધનને કારણે આમ ગુજરાતી વિકલ્પહીન બની ગયો હતો પરંતુ હવે તેને એક સાર્થક વિકલ્પ રૂપે આમ આદમી પાર્ટી મળી ગઈ છે. આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલ નહીં પરંતુ ગુજરાત મોડલ એટલે ગુજરાતની ૬ કરોડ પ્રજા નક્કી કરશે તે મુદ્દા પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આજે જે કંઈ બેહાલી અને હાલાત છે તે ભાજપઅને કોંગ્રેસની સરકારોના કારસ્તાનને કારણે છે. છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીની એટલે કે ભાજપની સરકાર છે પરંતુ ભાજપ-કોંગ્રેસના ગઠબંધનને આભારી છે. એમ કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે જ્યારે પણ ભાજપને માલ (માણસ, નેતાઓ,કાર્યકરો) જોઈએ ત્યારે કોંગ્રેસ તેને સપ્લાય કરે છે.
પૂર્વ પત્રકાર આપમાં જોડાયા
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવીને ખેસ પહેરાવી વિધિવત આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે જ ૧૫ વર્ષની પત્રકાર તરિકેની કારકિર્દીને તિલાંજલી આપી ઈશુદાન ગઢવીનો રાજનીતિમાં પ્રવેશ થયો છે.
‘આપ’ ભાજપની બી ટીમ: મોઢવાડિયા
ગુજરાત કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ યોજી દાવો કર્યો હતો કે, ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજો વિકલ્પ સ્વીકાર્યો નથી, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે રાજકીય પાર્ટીઓ નાનો-મોટો લાભ લેવા
માટે ગુજરાત આવે, આમ આદમી પાર્ટી પણ એ જ રીતે આવી છે, તેની સામે કોઈએ વાંધો લઈ શકાય નહિ.
સ્વ. ચીમનભાઈ પટેલે કિસાન મજદૂર પક્ષની સ્થાપના કરી પણ આખરે કોંગ્રેસમાં જોડાયા હતા, સ્વ. કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી પણ તે પાર્ટીનું અસ્તિત્ત્વ વિખેરાઈ ગયું, શંકરસિંહ વાઘેલાએ પણ બે વખત પ્રયત્ન કર્યા અને બંને વખત નિષ્ફળ ગયા. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, આપનો કોઈ જનાધાર નથી, દિલ્હી માત્ર કોર્પોરેશન જેવડું રાજ્ય છે એટલે તેની વાત અલગ છે, અત્યાર સુધીમાં ગુજરાતમાં જે કોઈ પાર્ટી આવી છે એમને માત્ર ભાજપ વિરોધી
મતનું વિભાજન કરીને ભાજપને મદદ કરવાનું કામ કર્યું છે.