રાજકોટઃ અહીંના મોરબી રોડ પરનાં કાગદડી ગામ પાસે આવેલા શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ ગુરુ પ્રેમદાસનાં રહસ્ય મૃત્યુનો ભેદ ઉકેલાયો છે. મહંતને તેના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણ વ્યક્તિઓ મહંતના યુવતી સાથેના વીડિયો અંગે બ્લેકમેઇલ કરીને નાણાં પડાવતા હતા. સ્યુસાઇડ નોટ લખીને મહંતે ઝેર પી જીવન ટુંકાવી લીધું હતું.
કાગદડી ગામ પાસે આવેલા શ્રી ખોડિયારધામ આશ્રના સાધુ જયરામદાસ ગુરુ પ્રેમદાસે ગત તા.૧ જૂનના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આશ્રમનાં કમ્પાઉન્ડમાં જ તેમના મૃત્યુદેહનો અગ્રિસંસ્કાર કરી દેવાયો હતો. આશ્રમના પ્રમુખ મહંત જયરામદાસના રૂમમાં તપાસ કરતા ૨૦ પાનાની સ્પુસાઇડ નોટ મળી હતી. જેમાં કોડિનારમાં પેઢાવાડામાં રહેતા તેના કૌટુંબિક ભત્રીજા અલ્પેશ સોલંકી અને સૂત્રાપાડાના પ્રશ્વાવાડામાં રહેતા અલ્પેશના બનેવી હિતેષ જાદવના ત્રાસના કારણે ઝેર પી જીવન ટુંકાવી લીધાનો ઉલ્લેખ હતો. આ સ્યુસાઇડ નોટ વાંચીને ટ્રસ્ટીઓ સહિતના હોદ્દેદારોએ પોલીસ કમિશને મહંતના મૃત્યુ અંગે તપાસ માટે રજૂઆત કરી હતી.
દોઢેક વર્ષ પહેલા અલ્પેશ અને હિતેષ મહંતના બે યુવતી સાથેના વીડિયો બનાવી લીધા હતા. આ વીડિયોની ક્લિપ બનાવીને મહંતને બતાવીને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. એ બન્નેએ રૂ.વીસેક લાખ પડાવી લીધા હતા. રાજકોટના જ વિક્ર્મ સોહલાએ પણ પૈસા પડાવવા માટે મંહતને મારફૂટ કરી હતી. આ ત્રણેયના ત્રાસથી ગળે આવી ગયેલા મહંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. મહંતે તેના ભત્રીજા અલ્પેશ અને તના બનેલીને ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનાવ્યા હતા પણ એ બન્ને જ તેમનાં મૃત્યુનું કારણ બન્યા હતા.