કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ગુજરાત સરકારનો એક્શન પ્લાન

Wednesday 16th June 2021 06:18 EDT
 
 

અમદાવાદઃ કોરોના મહામારીએ આખા વિશ્વને ઘમરોળ્યું સાથે જ દેશ અને ગુજરાતમાં પણ આ વાયરસે ભયાનક તાંડવ મચાવ્યું હતું. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોના ટપોટપ મોત થયા હતા. હવે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને કોરોના વાયરસની સંભવિત લહેરને લઇ રાજ્ય સરકારે એક્શન પ્લાન બનાવી લીધો છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના વાયરસની સંભવિત ત્રીજી વેવને લઇ જણાવ્યું હતું કે, સરકારે કોરોનાની ત્રીજી વેવને લઇ એક્શન પ્લાન બનાવ્યો છે. સાથે જ ‘ટેસ્ટિંગ, ઓક્સિજન અને હોસ્પિટલની વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં રોજના૨૫,૦૦૦ કેસ આવે તો તેને પહોંચી વળવા માટે પણ સરકારે તૈયારીઓ કરી લીધી છે. ૧,૧૦,૧૦૦ઓક્સિજન બેડ, ૩૦,૦૦૦ ICUબેડ અને ૧૫,૦૦૦ વેન્ટિલેટર બેડ તૈયાર રખાશે. સાથે જ બાળકોને ધ્યાને રાખી ૪,૦૦૦ પીડિયાટ્રિક પણ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.
બીજી લહેર દરમિયાન દોઢથી બે ગણા સ્ટાફની જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી પણ રાજ્ય કરશે. સંભવિત ત્રીજી લહેર માટે દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે. સાથે જ દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે.


comments powered by Disqus