કૌભાંડી નિરવ મોદીની સચીનમાં સીઝ થયેલી રૂ.૨૩૦ કરોડની જ્વેલરીની વેલ્યુ માત્ર રૂ.૨૦ કરોડ!

Wednesday 16th June 2021 06:48 EDT
 
 

સુરતઃ કૌભાંડી મેહુલ ચોક્સી અને નિરવ મોદીને લંડનથી ભારત પરત લાવવા ભારતે બ્રિટનની કોર્ટમાં પ્રત્યાર્પણ માટે જરૂરી પુરાવા રજૂ કરતાં પૂર્વે બંનેની કંપનીઓમાં પડેલા માલનું વેલ્યુએશન કરાવ્યું હતું. નિરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીમાંથી સીબીઆઈ અને ઈડીને સારી એવી રિકવરી થશે તેવી અપેક્ષા હતી. સુરતના જ્વેલરી એસોસિએશન સાથે સંકળાયેલા મોટા જ્વેલર્સ પાસે ઈડી દ્વારા સચિન સેઝમાં નિરવ મોદીની બે કંપનીઓનું સીલ ખોલાવી માલનું વેલ્યુએશન કરાયું હતુ. સેઝમાંથી જે માલ સીઝ કરાયો તેમાં ૭૦ ટકા માલ સિન્થેટિક હીરા હતા. સુરતના વેલ્યુઅરે સતત ૧૨ કલાક સુધી વેલ્યુએશન કર્યુ હતું. જેમાં ૭૦ લોટમાં ૫ કિલો જ્વેલરી હતી. ઈડીના બે અધિકારીની દેખરેખ હેઠળ આ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરીને ઈડીને સોંપવામાં આવ્યો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, રૂ.૨૩૦ કરોડનો દર્શાવવામાં આવેલો માલ રૂ.૨૦ કરોડનો છે. અને તેમાં પણ ૭૦ ટકા સીવીડી ડાયમંડ છે. જ્વેલરી અને નેચરલ ડાયમંડનો માલ માત્ર ૩૦ ટકા છે.
નીરવ મોદીની કંપનીના મેનેજરોએ સુરતમાં તેની કંપનીઓ પાસે રૂ.૨૩૦કરોડનો માલ પડ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમાંથી ૫૦૦ હીરાજડિત વીટી, જ્વેલરી અને ડાયમંડનું વેલ્યુએશન કરતા બધુ
મળીને માત્ર રૂ.૨૦ કરોડનો માલ હોવાનું વેલ્યુઅરે રિપોર્ટ આપતા ઇડીના અધિકારી ચોંકી ઉઠ્યા હતા. વેલ્યુઅરનો રિપોર્ટ ઇડી અને સીબીઆઇએ નાણા મંત્રાલય અને આરબીઆઇને મોકલ્યો હતો.


comments powered by Disqus