પટણા: દાનાપુર છાવણીના ટ્રેનિંગ એરિયામાં અનેક સ્થળે લખ્યું છે કે, તાલીમ વખતે વહાવેલો પરસેવો યુદ્ધભૂમિમાં લોહી બચાવે છે. જોકે ઈતિહાસ ગવાહ છે કે બિહાર રેજિમેન્ટના જવાનોએ પરસેવો જ નહીં પણ દેશની આન, બાન, શાન માટે લોહીનું એક-એક ટીપું વહેવડાવી દીધું છે. એનો તાજો પુરાવો ગલવાન ઘાટી છે.
એક વર્ષ પહેલાં ૧૫ જૂન, ૨૦૨૦ની સાંજે ભારતીય સેનાના જવાનોએ પોતાના અદમ્ય સાહસથી ચીનના સૈનિકોને પરાસ્ત કરીને શહીદી વહોરી હતી. ગલવાન ઘાટીની એ લડાઈમાં દેશના ૨૦ જવાન શહીદ થયા હતા, જેમાંથી ૧૧ સૈનિક બિહાર રેજિમેન્ટના હતા. ૧૫ જૂન, ૨૦૨૦ના રોજ ચીનના સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં સાથીદારોની શહીદી પછી પણ ભારતીય સૈનિકોનું મનોબળ છલકાઈ રહ્યું છે. અત્યંત દુર્ગમ સ્થળોએ પણ તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ અધિકારીઓ જવાનોને પોતાની રેજિમેન્ટની વીરગાથા સંભળાવીને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
શું થયું હતું ૧૫ જૂન, ૨૦૨૦ના રોજ
બંને દેશના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ વચ્ચે થયેલી સંમતિ પ્રમાણે, ગયા વર્ષે ૬ જૂને નક્કી થયું હતું કે ચીનના સૈનિકો લદ્દાખની ગલવાન ઘાટીમાંથી પાછા જતા રહેશે. જોકે ૧૫ જૂન સુધી ચીની સેનાના સૈનિકો પાછા ના ગયા, તો ૧૬ બિહાર બટાલિયનના કર્નલ સંતોષ બાબુના નેતૃત્વમાં એક નિઃશસ્ત્ર જૂથે ચીન સાથે એક બેઠક યોજી. એમાં ચીનના સૈનિકોએ પાછા જવાનો ઈનકાર કર્યો. વાતચીત ઉગ્ર થઈ ગઈ અને હાથાપાઈ પણ થઈ. આ દરમિયાન અનેક ભારતીય સૈનિક નદીમાં પડ્યા. ચીનના સૈનિકોએ અચાનક જ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો, જેમાં કર્નલ સંતોષ બાબુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ચીનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો, ચીનની પોસ્ટ પર હુમલો કર્યો. એમાં ચીનના અનેક સૈનિકોને મોતને ઘાટ
ઉતારી દેવાયા.