ઉપલેટા: ઉપલેટામાં દેરાણી-જેઠાણી વચ્ચેની તકરારના કારણે નવ વર્ષની માસૂમ બાળકીના માથામાં દસ્તાનો ઘા મારીને તેની કાકીએ ક્રૂર હત્યા કરી હતી.
અહીંની સર્વોદય સોસાયટીમાં રહેતા ચેતનભાઈ અને મયૂરભાઈ નિમાવત સંયુક્ત કુટુંબમાં રહે છે. એક જ મકાનમાં રહેતાં બંને ભાઈની પત્નીઓ દેરાણી-જેઠાણી વચ્ચે અવારનવાર તકરાર થતી રહેતી હતી. આ ઝઘડાનો બદલો લેવો હોય તેમ દેરાણી વંદના રૂમમાં ટીવી જોઈ રહેલી તેની નવ વર્ષની માસૂમ ભત્રીજી આયુષીને તને કંઈક વસ્તુ અપાવું તેમ કહીને મકાનની અગાશી પર લઈ ગઈ હતી. અગાસી પર આયુષીને સુવડાવીને તેના માથામાં દસ્તાના બે ઘા મારી દીધા હતા. તેના કારણે બાળકી આયુષીનું માથું ફાટી ગયું હતું અને તે ઘટનાસ્થળે જ બેભાન થઈ ગઈ હતી. બાદમાં વંદનાએ આયુષી પડી ગયાની પતિ અને જેઠ ચેતનભાઈને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળાને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બીજી તરફ કાકી વંદનાએ અગાસી પરના લોહીના ડાઘ વગેરે સાફ કરી નાંખ્યા હતા.
આ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવીને પોલીસને જાણ કર્યા વગર પિતા, કાકા વગેરેએ બાળાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી નાંખ્યાં હતાં. બાદમાં પસ્તાવો થતાં માસૂમ બાળકીની હત્યાની વાત સગાંને કરી હતી. એ પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે બાળકીની હત્યા કરવા બદલ તેની કાકી
વંદના તથા પૂરાવાનો નાશ કરવા અંગે તેના પતિ મયૂર અને પિતા ચેતનભાઈની અટકાયત કરી હતી.