ભરૂચની UPL યુનિ.ને સસ્ટેનેબલ ટેક્નોલોજી આધારિત રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી સ્થાપવા મંજૂરી

Wednesday 16th June 2021 07:00 EDT
 

અંકલેશ્વરઃ ભરૂચ જિલ્લામાં ૫ મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે. કેમિકલ હબ ગણાતા અંકલેશ્વરની કંપનીમાં આગજનીની ઘટનાઓ પણ અનેક બનતી હોય છે. ત્યારે યુપીએલ ગૃપે જિલ્લાના ઉદ્યોગોને અનુરૂપ અલાયદી યુનિવર્સિટી શરૂ કરવા માટે રાજ્યસરકાર સમક્ષ માંગણી કરી હતી. રાજ્યની સૌ પ્રથમ યુપીએલ યુનિવર્સિટી જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર પોતાનો કોર્સ ડિઝાઈન કરશે. હવે ઉચ્ચત્તર અભ્યાસના ભરૂચના આંગણે જ વિદ્યાર્થીઓ માટે નવા દ્વારા ખુલ્યા છે.
અંકલેશ્વર અને ઝઘડિયા જીઆઈડીસીમાં કાર્યરત યુપીએલ ગૃપ દ્વારા વાલિયાના વટારિયા ખાતે વર્ષ ૨૦૧૧માં શ્રોફ એસ. આર.રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (SRICT) શરૂ કરવામાં આવી હતી. જે હવે યુપીએલ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. રાજ્યપાલે મંજૂરી આપતા યુનિવર્સિટી શરૂ કરવાની ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ભરૂચ જિલ્લામાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને ધ્યાને લઇને અહીં ઉદ્યોગોમાં જરૂરિયાત મુજબના સ્કિલ વર્ક ધરાવતા કામદારો, કંપની મેનેજમેન્ટના કોર્ષ, સ્કિલ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટ, ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી સહિત ઇન્ડસ્ટ્રીઝને અનુરૂપ અભ્યાસક્રમો અને પુસ્તકો ડિઝાઈન કરાશે.
જિલ્લાની મોટી ઔદ્યોગિક વસાહતો અંકલેશ્વર, દહેજ, ઝગડિયા અને પાનોલીને ફાયદો થશે. નવી ટેકનોલોજીને લઇને ઉદ્યોગોની જરૂરિયાત મુજબના નવા સ્કિલ વર્ક કરતા કામદારો તેમજ મેનેજમેન્ટ સ્ટાફ મળશે. જેથી ઉદ્યોગો પણ સારી રીતે વિકસી શકશે. નવી રોજગારી સાથે યુવાનો માટે પણ નવા દ્વાર ખુલશે.


comments powered by Disqus