ભાવનગરઃ શ્રીલંકાના પ્રવાસે જતી ભારતીય ક્રિકેટ ટીમમાં ભાવનગરના ડાબેરી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાનો સમાવશે કરાયો છે. ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થવા અંગે ચેતન સાકરીયાએ જણાવ્યું હતું કે, દેશ વતી રમવું એ દરેક ખેલાડીઓનું સપનું હોય છે. વર્ષ શ્રીલંકાના પ્રવાસે હું મારી ટીમ વતી શ્રેષ્ઠ બોલિંગનું પ્રદર્શન કરવાનો સતત પ્રયત્ન કરીશ.
વર્ષ ૨૦૨૧ મારા માટે અનેક ચઢાવ-ઉતારવાળું રહ્યું છે. રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમને ચેમ્પિયન બનવાનું સપનું પૂર્ણ થયું, તેમાં હું ટીમમાં સામેલ હતો તેની ખુશી એક અલગ હતી. ત્યારબાદ આઈપીએલમાં મારી પસંદગી કરવામાં આવી અને મને જ્યારે જ્યારે રમવાનો મોકો મળ્યો છે ત્યારે મેં મારી પસંદગીને યથાર્થ ઠેરવવાનો પ્રયત્ન કર્યો છે. વધુમાં સાકરીયાએ જણાવ્યું હતું કે, મારા પિતા અને મારો ભાઈ જો આ દુનિયામાં જીવિત હોત તો મારી આ પ્રગતિને નિહાળીને ખૂબ જ ખુશ હોત. મારા પપ્પાને વિશ્વાસ હતો કે હું ભારતીય ક્રિકેટ ટીમમાં એક દિવસ જરૂર પસંદગી પામીશ.