મા રેવા તારું પાણી નિર્મળઃ ૧૬૮ કિમી સુધી નીર મિનરલ વોટર જેવાં ચોખ્ખાં

Wednesday 16th June 2021 06:50 EDT
 

અંકલેશ્વર: છેલ્લા ૬૫થી ૭૦ વર્ષમાં પહેલીવાર નર્મદા નદી અને દરિયા કિનારાના ૬૫ કિમી વિસ્તારની ખારાશ દૂર થતાં નર્મદા ડેમથી ૧૬૮ કિમીમાં નર્મદાનું પાણી સીધુ જ પીવા યોગ્ય બન્યું છે. અને ફિલ્ટર કર્યા વિના પણ પી શકાય છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ વિભાગના નર્મદાના પ્રવેશ સ્થળ જોગેશ્વર ગામ સુધી ૧૩ સ્થળોના નમૂનાની તપાસમાં આ હકીકત બહાર આવી છે.
ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા નદીનું તાપમાન પણ ૫થી ૭ ડિગ્રી ઘટ્યું છે. નર્મદા ડેમના નીચાણ વાસમાં છેલ્લા કેટલાય વર્ષોથી નર્મદા નદી જાણે મૃત પ્રાયઃ બનતા જળ, જીવન, ઉદ્યોગો, ખેતી સાથે ૯ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. દેશ અને દુનિયામાં છેલ્લા ૨ વર્ષથી ચાલતી કોરોના મહામારીમાં હજારો-લાખો લોકોના મોત થયા છે, પણ પ્રદુષણ ઘટતાં અને છેલ્લા ૩ વર્ષથી ડેમ ભરાતાં નદીમાં પુરતું પાણી છોડવામાં આવે છે જેના કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાના નીર ૭૦ વર્ષ બાદ ફરી શુદ્ધ, સ્વચ્છ અને સીધા પીવા યોગ્ય બની છે.
મિનરલ વોટર સપ્લાય કરતી કંપનીઓના નોર્મ્સ જોતા મિનિમમ ૩૫૦ ટીડીએસ પાણી હોવું જોઈએ. જો એથી વધારે હોય તો તેની ટ્રીટમેન્ટ કરી મિનરલ કરવું પડતું હોય છે. જો એનાથી ઓછું હોય તો ઓછી ટ્રીટમેન્ટ કરાવી પડતી હોય છે. વિશ્વની સૌથી વધુ વેચાતી સોડા બનાવતી કંપનીઓ પણ ૬૦ થી ૧૦૦ ટીડીએસનું પાણી જ ઉપયોગમાં લેતી હોય છે. ત્યારે નર્મદા નદીના પાણીનું પરિણામ જોતા પાણી પીવા યોગ્ય છે.


comments powered by Disqus