મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે અને નરેન્દ્ર મોદીની દિલ્હીની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. મુલાકાત પછી શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે મોદીના જબરજસ્ત વખાણ કર્યા એ જ સમયે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે NCPના વડા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. એ પછી તાજેતરમાં ચૂંટણીઓના સફળ વ્યૂહરચનાકાર સાબિત થયેલા પ્રશાંતકિશોરે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આટલા બધા મોટાં અને વગદાર માથાં પરસ્પર વિરોધી જૂથમાં હોવા છતાં અચાનક એકબીજાને મળવા લાગે તો કંઈક રંધાઈ રહ્યું હોવાની શંકા જાગવી સ્વાભાવિક છે.
જોકે NCPના સંસદસભ્ય અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સૂલેએ જણાવ્યું કે, પ્રશાંત કિશોર સાથેની મુલાકાત બિલકુલ બિનરાજકીય હતી. પરંતુ રાજકીય નિરીક્ષકોને આ બધાના સરવાળે એક વાત સમજાઈ રહી છે કે આ બધી મુલાકાતો ૨૦૨૪ની વિધાસભા ચૂંટણીની પૂર્વતૈયારી માટે જ થઈ રહી છે. એક ધારણા છે કે પશ્ચિમ બંગાળમાં પ્રશાંતકિશોરની જબરજસ્ત સફળતા જોયા પછી મહારાષ્ટ્રમાં પણ પ્રશાંતકિશોરને ચૂંટણીનો વ્યૂહ સોંપવાની તૈયારીઓ ચાલી રહી હોય. જોકે પ્રશાંતકિશોરે જાતે જ સ્પષ્ટ કર્યું હતું કે હવે પછી તે આ પ્રકારની સેવાઓ કોઈને આપવા માગતા નથી. અમિત શાહ અને પવાર વચ્ચે પણ મુલાકાત થઇ હતી
• શરદ પવાર અને અમિત શાહ અમદાવાદમાં એકસાથે જોવા મળ્યા હતા.
• શરદ પવાર હોસ્પિટલમાં સારવાર લઈ ઘેર પહોંચ્યા કે તરત પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પવારને મળવા તેમના ઘેર પહોંચી ગયા હતા.
• પવાર ઉદ્ધવ ઠાકરેને મળ્યા. ઉદ્ધવ ઠાકરેને NCPના અનેક વિધાનસભ્યો સામે ફરિયાદ હોવાની વાતો ચર્ચાતી હતી.
• ઉદ્ધવ ઠાકરે મોદીને મળવા દિલ્હી પહોંચી ગયા. બંને નેતાઓ એકાંતમાં મળ્યા.