અમદાવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ સુરત ખાતે પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. અને હવે રાજ્યનાં અન્ય શહેરોમાં પણ ભવિષ્યની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે, જેમાં વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રો ટ્રેનને બદલે ઓછા ખર્ચે તૈયાર થતી મેટ્રો નિયો અને મેટ્રો લાઇટનું સંચાલન શરૂ કરવા જીએમઆરસી દ્વારા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા ખાનગી એજન્સીઓને કામગીરી સોંપાશે, જેના માટે રસ ધરાવતી એજન્સીઓ પાસે જીએમઆરસી દ્વારા ૨૯ જૂન સુધીમાં અરજી મગાવાઈ છે.
મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ પ્રોજેક્ટ તૈયાર કરવાનો ખર્ચ ઓછો હોવાથી એમાં મુસાફરી પણ મેટ્રો કરતાં સસ્તી હશે. એના માટે રોડ પર અલગથી કોરિડોર તૈયાર કરવામાં આવશે, જેના પગલે ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. સામાન્ય રીતે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે એલિવેટેડ કોરિડોરમાં એક કિલોમીટર ટ્રેક તૈયાર કરવાનો ખર્ચ સરેરાશ ૩૫૦કરોડ રૂપિયા જેટલો થાય છે, જ્યારે અંડરગ્રાઉન્ડમાં એક કિલોમીટર ટ્રેકનો ખર્ચ ૮૦૦ કરોડ રૂપિયા જેટલો થાય છે. જ્યારે મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ માટે એક કિલોમીટરનો કોરિડોર ૨૦૦ કરોડ રૂપિયા જેટલા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. એ જ રીતે આ મેટ્રો નિયો અને લાઈટ રોડ પર તેમજ એલિવેટેડ કોરિડોર પર પણ દોડી શકે છે. એનો મેઇન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ જ ઓછો હોય છે.
મેટ્રો નિયો બેથી ત્રણ કોચ સાથે દોડાવી શકાય છે. આ રોડ પર જ દોડતી હોવાથી એ ટ્રેક પર લોખંડના વ્હીલને બદલે રબરના ટાયર પર દોડે છે. એના દરેક કોચમાં ૨૦૦થી ૩૦૦ પેસેન્જરો સરળતાથી મુસાફરી કરી શકે છે. મેટ્રો નિયોના એક કોચની લંબાઈ ૧૨ મીટર તેમજ પહોળાઈ ૨.૫ મીટર જેટલી હોય છે. મેટ્રો લાઇટ એ મેટ્રો નિયો કરતાં પણ નાનું વર્ઝન છે, જે નિયોની જેમ જ રોડ પર દોડશે, પરંતુ એમાં પેસેન્જરોની ક્ષમતા કોચદીઠ ૧૦૦ જેટલી હોય છે. મેટ્રો લાઇટ એકથી ત્રણ કોચ સાથે દોડાવી શકાય છે અને તેમાં એકવારમાં મહત્તમ ૩૦૦ જેટલા પેસેન્જરો મુસાફરી કરી શકશે. મેટ્રો લાઇટ પણ મેટ્રો નિયોની જેમ વીજળીથી દોડશે, જેના માટે એના રૂટ પર ઓવરહેડ વાયર દ્વારા વીજ સપ્લાઈ કરવામાં આવશે. આ બંને સિસ્ટમ વીજળીથી દોડતી હોવાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.